ખાલી કરી દો વિસ્તાર, નહી તો માનીશુ તમે આતંકવાદી છો, ઈઝરાયેલે ઉત્તર ગાઝાના લોકોને સૂચના આપી કે ધમકી ?
ઈઝરાયેલે ગાઝા પટ્ટીના ઉત્તરીય વિસ્તારમાં રહેતા લોકોને એ વિસ્તાર ખાલી કરવાની ચેતવણીનું વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યું છે. હવે ઇઝરાયેલી સેનાએ વિમાનની મદદથી, ગાઝાના વિવિધ વિસ્તારોમાં પત્રિકાઓ ફેકી છે. આ પત્રિકામાં ગાઝાના ઉતર વિસ્તારમાં રહેતા લોકોને, તેમને ઘર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જો તેઓ તેમનુ ઘર ખાલી કરીને ઉતર ગાઝામાંથી અન્ય વિસ્તારમાં જતા નહી રહે તો તેઓને "આતંકવાદી" ગણવામાં આવશે. આવી જ ચેતવણી ઓડિયોના માધ્યમ દ્વારા પણ ગાઝાના લોકોને આપવામાં આવી છે.

ઈઝરાયેલે, અગાઉ ગાઝામાં પેલેસ્ટાઈનીઓને ગાઝા પટ્ટીનો ઉત્તરીય વિસ્તાર ખાલી કરીને દક્ષિણ તરફ જવાની ચેતવણી આપી હતી. હવે આ ચેતવણીઓ ઇઝરાયલના લશ્કરી વિમાનોમાંથી આપવામાં આવી રહી છે. ઈઝરાયેલના લશ્કરી વિમાન દ્વારા ગાઝાના વિસ્તારોમાં પત્રિકાઓ ફેકીને ગાઝાનો ઉતર વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. તો બીજી બાજૂ ગાઝાના ઉત્તર વિસ્તારના રહેવાસીઓનના મોબાઈલ ઉપર ડિયો મેસેજ મોકલવામાં આવેલા છે. મોબાઇલ ફોનમાં મોકલાયેલા ઓડિયો સંદેશાઓ દ્વારા, ગાઝા પટ્ટીનો ઉતર વિસ્તાર ખાલી કરી દેવાની વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. પત્રિકાઓ અને સંદેશાઓમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝાના ઉત્તરમાં રહેવાથી તેમના જીવ જોખમમાં આવી શકે છે અને જો તેઓ આ વિસ્તાર ખાલી નહીં કરે તો તેઓને “આતંકવાદી સંગઠન”ના મદદગાર તરીકે ઓળખવામાં આવશે.
ગાઝામાં સંભવિત ઈઝરાયેલના જમીની હુમલા પહેલા આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ઈઝરાયેલની સેના ગાઝાના ઉત્તરમાં રહેતા પેલેસ્ટાઈનીઓને તેમના ઘર ખાલી કરવા માટે સતત ચેતવણી આપી રહી છે. જો કે, પેલેસ્ટિનિયનોએ જણાવ્યું હતું કે, તેઓને ઈઝરાયેલ તરફથી અગાઉથી કહેવામાં આવ્યું ના હતું કે, જો તેઓ ગાઝા પટ્ટીના ઉતર વિસ્તારને ખાલી નહી કરે તો તેઓને “આતંકવાદી” સમર્થક ગણી લેવાશે. ઈઝરાયેલની આવી ચેતવણીઓ છતાં, ઘણા પેલેસ્ટિનિયનો હજુ પણ, ઈઝરાયેલના ચાલુ હવાઈ હુમલાઓને કારણે ગાઝાના દક્ષિણ તરફ જવામાં વધુ જોખમી માને છે. અહેવાલ સામે આવ્યો છે કે ગાઝા પટ્ટીના દક્ષિણના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. જ્યાં ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો ચાલુ રાખવામાં આવ્યો છે. હવે તો ઈઝરાયેલ પશ્ચિમ કાંઠાને પણ નિશાન બનાવી રહ્યું છે.
ગઈકાલે રાત્રે ઈઝરાયેલના હવાઈ હુમલા દરમિયાન ગાઝા વિસ્તારમાં 50 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા હતા. હમાસ દ્વારા 200 થી વધુ ઇઝરાયેલી અને વિદેશી નાગરિકોને બંધક બનાવેલા છે. જેઓ આ યુદ્ધમાં ફસાયેલા છે. ઈઝરાયેલી સેનાએ ગાઝાના ઉત્તરમાં એક સપ્તાહથી ઘેરો ઘાલ્યો છે. કથિત રીતે તે સેનાને ગાઝામાં પ્રવેશવાનો આદેશ આપી રહી નથી કારણ કે ગાઝાનો ઉત્તરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે અમેરિકાનો પહેલો પ્રયાસ બંધકોને મુક્ત કરવાનો છે. બંધકોમાં ઘણા અમેરિકનો પણ ફસાયેલા છે.
હમાસે બે બંધકોને મુક્ત કર્યા
તાજેતરમાં જ કતારની દરમિયાનગીરીને કારણે હમાસે બે અમેરિકન બંધકોને મુક્તિ આપી હતી. આ બાદ ઈઝરાયેલમાં વધુ કેદીઓને મુક્ત કરવાની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ ઈઝરાયેલ ઉપર ઘણું દબાણ છે. જેમાં પશ્ચિમી સરકારોના રાજદ્વારી પ્રયાસો પણ સામેલ છે. ઈઝરાયલને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પહેલા તેઓ બંધક બનાવેલા નાગરિકોના પરત આવવાની ખાતરી કરો અને પછી ગાઝા પર જમીન પર હુમલો કરવા આગળ વધો.
બંધકોના પરિવારજનો ગુસ્સે છે અને વિરોધ કરી રહ્યા છે
ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવેલા નાગરિકોના પરિવારજનોમાં ઈઝરાયેલ સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. આનું ઉદાહરણ શનિવારે સાંજે તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયની સામે યોજાયેલ વિરોધ છે. જ્યાં તેઓએ પીએમ બેન્જામિન નેતન્યાહુના રાજીનામાની પણ માંગ કરી હતી. વિરોધીઓએ માંગ કરી હતી કે, ઇઝરાયેલ સરકાર જ્યાં સુધી ગાઝામાં રાખવામાં આવેલા આ કેદીઓને મુક્ત કરવાની ખાતરી ન આપે ત્યાં સુધી સૈન્ય દ્વારા જમીન માર્ગે હુમલો ન કરે. પરિણામે, ઇઝરાયેલી સમાજના કેટલાક વર્ગો, ખાસ કરીને અટકાયતીઓ સાથે સંકળાયેલા લોકો, સરકાર પર દબાણ લાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો