Breaking News: ઘરના ઠેકાણા નથી અને દુનિયા સામે પંચાત કરવા નીકળ્યા ! ઈરાને મધ્યસ્થી કરવા ગયેલા શરીફની હવા કાઢી નાખી

ઘરના ઠેકાણા ન હોય અને દુનિયાની પંચાત કરવા નીકળવું કેટલું ભારે પડી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ અત્યારે પાકિસ્તાને પૂરું પાડ્યું છે. વાત એમ છે કે, ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે મધ્યસ્થી કરવા નીકળેલા પાકિસ્તાનને ઈરાને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો આંચકો આપ્યો છે.

Breaking News: ઘરના ઠેકાણા નથી અને દુનિયા સામે પંચાત કરવા નીકળ્યા ! ઈરાને મધ્યસ્થી કરવા ગયેલા શરીફની હવા કાઢી નાખી
| Updated on: Mar 25, 2026 | 5:53 PM

ઇઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરવા નીકળેલા પાકિસ્તાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેહરાને મોટો ઝટકો આપ્યો છે. અહેવાલ મુજબ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે (IRGC) પાકિસ્તાની જહાજને કરાચી તરફ જવાની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ ઈરાને તેને પાછું વાળી દીધું હતું. પાકિસ્તાની પીએમ શહેબાઝ શરીફ અને આર્મી ચીફ મુનીર દ્વારા ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો શરૂ કર્યા બાદ તેહરાન તરફથી પાકિસ્તાનને મળેલો આ પહેલો મોટો ઝટકો છે.

ઈરાને જહાજને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા ન દીધું

ઈરાનના કાબુલ દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઈરાને પાકિસ્તાનના કરાચી બંદર તરફ જઈ રહેલા એક જહાજને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી ન મળતા પાછું વાળી દીધું હતું. આનાથી પાકિસ્તાનની આશાઓને મોટો ફટકો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના તેલ અને ગેસ વેપારનો લગભગ પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે, તે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે લગભગ ઠપ થઈ ગયો છે. ઈરાની દૂતાવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કન્ટેનર જહાજ SELEN ને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવી દ્વારા કાયદેસરના પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેને પાછું મોકલી દેવાયું હતું.”

હોર્મુઝમાં ઈરાનના નિયમોનું પાલન કરવું અનિવાર્ય

IRGC એ એક નિવેદનમાં જણાવ્યું કે, “આ જળમાર્ગ પરથી કોઈપણ જહાજનું પસાર થવું ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની મેરીટાઇમ ઓથોરિટી સાથેના સંપૂર્ણ સંકલન પછી જ શક્ય છે.” IRGC નેવીએ પુષ્ટિ કરી કે, જહાજ પ્રોટોકોલનું પાલન કરતું નહોતું, તેથી તેને રોકવામાં આવ્યું હતું. રિયર એડમિરલ અલીરેઝા તંગસીરીએ કહ્યું કે, તમામ જહાજો માટે હવે ઈરાની મેરીટાઇમ ઓથોરિટી સાથે સંપર્ક કરવો ફરજિયાત છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે તેહરાને યુદ્ધ દરમિયાન હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે કેટલાક જહાજો પાસેથી 20 લાખ ડોલર (લગભગ 18.8 કરોડ રૂપિયા) ટ્રાન્ઝિટ ફી વસૂલવાનો નિર્ણય લીધો છે.

ઈરાન જહાજો પાસેથી વસૂલી રહ્યું છે ‘ટ્રાન્ઝિટ ફી’

ઈરાની સાંસદ અલાઉદ્દીન બોરુજર્દીએ સરકારી બ્રોડકાસ્ટર IRIB ને જણાવ્યું કે, “કેટલાક જહાજો પાસેથી 20 લાખ ડોલર ટ્રાન્ઝિટ ફી વસૂલવી એ ઈરાનની તાકાત દર્શાવે છે. દાયકાઓ પછી હવે આ જળમાર્ગમાં એક નવું ‘સોવરેન રિજીમ’ (સાર્વભૌમ શાસન) સ્થાપિત થયું છે.” તેમણે ઉમેર્યું કે, “યુદ્ધનો પોતાનો ખર્ચ હોય છે, તેથી સ્વાભાવિક રીતે અમારે જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલવી જોઈએ.”

ટ્રમ્પે પણ શહેબાઝની પોસ્ટને પ્રમોટ કરી હતી

ઈરાને પાકિસ્તાની જહાજને પસાર થવા ન દીધું, આ ઝટકો ત્યારે મળ્યો જ્યારે થોડા કલાકો પહેલા જ પાકિસ્તાની પીએમ શહેબાઝ શરીફની એ પોસ્ટને ટ્રમ્પે રીપોસ્ટ કરી હતી, જેમાં પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી હતી. જો કે, ઈરાને પાકિસ્તાનને તેની સાચી ઔકાત બતાવી દીધી છે.

દુશ્મનો સિવાય હોર્મુઝ તમામ માટે ખુલ્લું છે

આ ઘટના પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનએ ‘X’ પર લખ્યું હતું કે, “હોર્મુઝની સામુદ્રધુની એવા દેશો સિવાય તમામ માટે ખુલ્લી છે, જેઓ અમારી જમીનનું ઉલ્લંઘન કરે છે. ઈરાનને નકશામાંથી ભૂંસી નાખવાનો ભ્રમ અમારા પ્રત્યેની હતાશા દર્શાવે છે. ધમકીઓ અને આતંક અમારી એકતાને વધુ મજબૂત કરે છે.”

આ પણ વાંચો: ‘ક્રૂડ ઓઈલ’ વગર દુનિયા અધૂરી છે… આખરે 1 બેરલમાં કેટલા લિટર તેલ હોય છે? જવાબ જાણીને તમે પણ પોતાનું માથું ખંજવાળવા લાગશો

Follow Us