Breaking News: નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં Infosys ના CEO લેક્સ ગોપીસેટ્ટી ‘મિસિંગ’, સેંકડો ભારતીયો પણ ફસાયા
પડોશી દેશ નેપાળમાં આવેલા ભયાનક પૂર વચ્ચે ભારતની અગ્રણી IT કંપની ઇન્ફોસિસ (Infosys) માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વ્યક્તિગત રીતે નેપાળ ગયેલા કંપનીના પ્રમુખ લેક્સ ગોપીસેટ્ટી આ કુદરતી આફતમાં અચાનક લાપતા થઈ ગયા છે અને તેમની સાથેનો સંપર્ક થઈ શકતો નથી. એક તરફ ઇન્ફોસિસ અને વિદેશ મંત્રાલય તેમને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ પૂરમાં સેંકડો ભારતીયો ફસાયા હોવાના અહેવાલ છે.

ઇન્ફોસિસે શુક્રવારે એટલે કે 28 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે, નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ તેની સબસિડિયરી કંપની ‘ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીઝ’ ના પ્રમુખ (Chief) લેક્સ ગોપીસેટ્ટી (Lax Gopisetty) નો હાલ સંપર્ક થઈ શકતો નથી. IT સર્વિસની મોટી કંપની ઇન્ફોસિસની સબસિડિયરી ‘ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીઝ’ મુખ્યત્વે અમેરિકા અને કેનેડામાં પબ્લિક સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગોપીસેટ્ટી નેપાળના પ્રવાસે હતા
બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી આ IT કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગોપીસેટ્ટી વ્યક્તિગત રીતે નેપાળ બાજુના કોઈ એક વિસ્તારના પ્રવાસે હતા અને કંપનીની પ્રથમ પ્રાથમિકતા તેમની સુરક્ષા તેમજ સુખાકારી સુનિશ્ચિત કરવાની છે. ઇન્ફોસિસે જણાવ્યું, “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે, અમારા સહયોગી લેક્સ ગોપીસેટ્ટી, જેઓ વ્યક્તિગત રીતે તે વિસ્તારના પ્રવાસે હતા, હાલમાં તેમનો સંપર્ક થઈ શકતો નથી.”
કંપનીએ વધુમાં ઉમેર્યું કે, તે માહિતી એકત્ર કરવા અને ગોપીસેટ્ટીનો સંપર્ક સાધવા માટે સંબંધિત એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. ઇન્ફોસિસે એમ પણ કહ્યું કે, તે તેમના પરિવારના સતત સંપર્કમાં છે અને આ મુશ્કેલ સમયમાં તમામ જરૂરી મદદ પૂરી પાડી રહી છે.
ઇન્ફોસિસે કહ્યું, “અમે પરિવારના નજીકના સંપર્કમાં છીએ અને આ કપરા સમય દરમિયાન તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમારી સંવેદનાઓ લેક્સ અને આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે.”
320 ભારતીયો ગુમ અને અન્ય 400 ચીન તરફ ફસાયેલા
ઇન્ફોસિસે જણાવ્યું કે, તે નેપાળમાં આવેલા વિનાશક પૂર અને લોકોના દુઃખદ નુકસાનથી અત્યંત દુઃખી છે. વિદેશ મંત્રાલયે (MEA) શુક્રવારે જણાવ્યું હતું કે, નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂર બાદ ઓછામાં ઓછા 320 ભારતીયો ગુમ છે અને અન્ય 400 ચીન તરફ ફસાયેલા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, ભારત આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કાઠમંડુને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીન તરફ ફસાયેલા 153 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા એ શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, નેપાળના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી કાઠમંડુ પહોંચ્યાના એક દિવસ પછી આજે એટલે કે શુક્રવારે બપોરે એકવીસ ભારતીયો નવી દિલ્હી પહોંચ્યા. ઇન્ફોસિસની વેબસાઇટ પર ઉપલબ્ધ તેમની પ્રોફાઇલ અનુસાર, ગોપીસેટ્ટી સરકારી ક્ષેત્રના સંગઠનોને તેમની એજન્સીઓના મિશનને પૂર્ણ કરવા માટે વ્યૂહરચના, ટેકનોલોજી, કામગીરી અને પરિવર્તન અંગે સલાહ આપે છે. સાથે જ, તેઓ જરૂરી લક્ષ્યો હાંસલ કરવા માટે કંપનીની વ્યૂહરચના અને તેના અમલીકરણની દેખરેખ પણ રાખે છે.
ગોપીસેટ્ટીની ભૂમિકા શું?
પોતાની વર્તમાન ભૂમિકા પહેલાં, ગોપીસેટ્ટી ઇન્ફોસિસમાં ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને ‘બિઝનેસ એપ્લિકેશન અને ડિજિટલ વર્કસ્પેસ સર્વિસ’ ના હેડ હતા. આ ભૂમિકામાં તેમણે અમેરિકા, યુરોપ અને એશિયામાં આ કામનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધાર્યો હતો. Infosys માં જોડાયા પહેલાં, ગોપીસેટ્ટી Accenture માં મેનેજિંગ ડિરેક્ટર હતા, જ્યાં તેમણે નોર્થ અમેરિકામાં હેલ્થ અને પબ્લિક સર્વિસીઝ બિઝનેસના એક ભાગનું નેતૃત્વ કર્યું હતું. Infosys ની વેબસાઇટ અનુસાર, તેમણે BearingPoint, IBM, PwC અને HCL માં પણ ઝડપથી વધતા બિઝનેસ યુનિટ્સ ઊભા કર્યા છે.
