Breaking News : પાકની નાપાક હરકત ! પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું ગુરુદ્વારા તોડી પાડતા ભારત ભડક્યું, લગાવી ફટકાર
125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શેખુપુરા જિલ્લાના ફરુખાબાદમાં સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબના એક ભાગને તોડી પાડવાની સખત નિંદા કરી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શેખુપુરા જિલ્લાના ફરુખાબાદમાં સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબના એક ભાગને તોડી પાડવાની સખત નિંદા કરી છે. તેમણે માંગ કરી છે કે પાકિસ્તાન સરકાર આ મામલાની તપાસ કરે અને જવાબદારો સામે કાર્યવાહી કરે.
જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ
વિવાદ વધ્યા બાદ, પંજાબ (પાકિસ્તાન)ના લઘુમતી બાબતોના મંત્રી રમેશ સિંહ અરોરાએ બુધવારે (1 જુલાઈ) ‘ગુરુદ્વારા સિંહ સભા’ની મુલાકાત લીધી અને તેના તાત્કાલિક પુનઃસ્થાપનની જાહેરાત કરી. અરોરાએ સ્થાનિક શીખ સમુદાયની ફરિયાદો પણ સાંભળી. ઓકફ વિભાગ પાકિસ્તાનમાં એક સરકારી સંસ્થા છે જે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની મિલકતો, ટ્રસ્ટો અને પૂજા સ્થળોની દેખરેખ, સંચાલન અને રક્ષણ માટે જવાબદાર છે.
ભારત સરકારે આ બાબતની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયે માંગ કરી છે કે આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. ભારતે પણ આગ્રહ કર્યો છે કે ગુરુદ્વારા સાહિબના તોડી પાડવામાં આવેલા ભાગોને શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે અને તેનું પુનર્નિર્માણ કરવામાં આવે.
તોડફોડની સખત નિંદા કરી
આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “પાકિસ્તાનના ફારુખાબાદમાં ઐતિહાસિક અને પવિત્ર 125 વર્ષ જૂના ગુરુદ્વારા ગુરુ સિંહ સભા સાહિબના ધ્વંસ અંગે અમે ખૂબ જ દુઃખદ અહેવાલો જોયા છે. અમે શીખ સમુદાયના પવિત્ર સ્થળ સામે તોડફોડના આ નિંદનીય અને લક્ષ્યાંકિત કૃત્યની સખત નિંદા કરીએ છીએ.”
લઘુમતી સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત
ભારતે આ ઘટના અંગે સ્થાનિક વહીવટીતંત્ર અને પાકિસ્તાનમાં ‘ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ’ (ETPB) ના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થાનિક અધિકારીઓ અથવા ETPB દ્વારા નક્કર કાર્યવાહીનો અભાવ ચિંતાનો વિષય છે.
મંત્રાલયે નિર્દેશ કર્યો હતો કે ભૂતકાળમાં પાકિસ્તાનમાંથી આવા અહેવાલો વારંવાર બહાર આવ્યા છે. તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, “પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વલણ ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી.” મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન સરકારને દેશમાં રહેતા લઘુમતી સમુદાયો અને તેમના ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવા હાકલ કરીએ છીએ. પાકિસ્તાને વધતી જતી ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક હિંસાના વાતાવરણને સંપૂર્ણપણે દૂર કરવું જોઈએ.”
