Corona vaccine : કોરોનાની રસી નહી લો તો, બ્લોક કરી દેવાશે મોબાઈલનું સીમ કાર્ડ, જાણો ક્યા લેવાયો આ નિર્ણય
Corona vaccine update : રસીકરણ માટે સરકારે ગોઠવેલી વ્યવસ્થાનો લાભ લેવાનું લોકોટાળે છે. ત્યારે લોકોને રસી લેવા માટે શામ, દામ અને દંડની રીતીનીતિ અપનાવવામાં આવી રહી છે.
કોરોના સામેનો જંગ જીતવા માટે રસી જ એક ઈલાજ હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. ત્યારે લોકો કોરોનાની રસી લે તે માટે અનેક પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો પણ છે કે, રસીકરણ માટે સરકારે ગોઠવેલી વ્યવસ્થાનો લાભ લેવાનું ટાળે છે. ત્યારે લોકોને રસી લેવા માટે શામ, દામ અને દંડની રીતીનીતિ અપનાવવામાં આવી રહી છે. જે લોકો કોરોનાની રસી ના લે તેમના મોબાઈલના સીમકાર્ડ બ્લોક ( સીમકાર્ડ બ્લોક ) કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
હા, આ વાત સાચી છે કે જો તમે કોરોનાની રસી નહી લો તો તમારા મોબાઈલનું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે. આ નિર્ણય લેવાયો છે ખરો પણ તે ભારતમાં નહી પણ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આરોગ્ય પ્રધાન યાસ્મીન રશીદની અધ્યક્ષતમાં યોજાયેલી બેઠકમાં, એવો નિર્ણય લેવાયો છે કે, જો રસી નહી લો તો મોબાઈલનું સીમ કાર્ડ બ્લોક કરી દેવુ. આરોગ્ય પ્રધાનની આ બેઠકમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ અને લશ્કરના પણ અધિકારીઓ હાજર રહ્યાં હતા.
આવતીકાલ 12 જૂનથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તેના માટે વિવિધ કેન્દ્રો ઉપરાંત વોક ઈન વેક્સિન સેન્ટર પણ બનાવ્યા છે. ડિસેમ્બર સુધીમાં 70 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક પાકિસ્તાને સેવ્યો છે.
પાકિસ્તાન સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, પ્રાંતિય સરકારોએ દરેક ધાર્મિક સ્થળની બહાર મોબાઈલ રસીકરણ કેન્દ્ર સ્થાપવા અને કેન્સર, એઈડ્સ સહીતના અન્ય રોગ ધરાવનારાઓને રસીમાં પ્રાથમિકતા આપવી. રસી લીધા બાદ જ લોકો સિનેમા જોવા જઈ શકશે. રેસ્ટોરન્ટમાં જઈ શકશે. જો કે વહેલા તે પહેલાના ધોરણે જ રસી આપવાનુ સરકારે નક્કી કર્યું છે.