નાઈજીરિયામાં બંદૂકધારીઓનો આતંક, સેનાના હુમલાનો બદલો લેવા 200 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા
નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ રાજ્ય ઝમ્ફ્રામાં ફરી એકવાર ડાકુઓનો આતંક જોવા મળ્યો છે. અહીં હથિયારો સાથે આવેલા આ ડાકુઓએ ઓછામાં ઓછા 200 લોકોની હત્યા કરી છે.
Nigeria Bandits Attack: નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ રાજ્ય ઝમ્ફ્રામાં (State Zamfara) ફરી એકવાર ડાકુઓનો આતંક જોવા મળ્યો છે. અહીં હથિયારો સાથે આવેલા આ ડાકુઓએ ઓછામાં ઓછા 200 લોકોની હત્યા કરી છે. સ્થાનિક લોકોએ આ માહિતી આપી છે. ગયા અઠવાડિયે સેનાએ ડાકુઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જે બાદ તેમણે નાગરિકો પર બદલો લીધો હતો.
જ્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે, 58 લોકો માર્યા ગયા છે. જો કે, મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે વિસ્તારમાં પરત ફરેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
સોમવારે, સેનાએ જામફ્રાના ગુસામી જંગલ અને પશ્ચિમ ત્સ્મારે ગામમાં અનેક લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો, જેમાં તેમના બે નેતાઓ સહિત 100થી વધુ ડાકુ માર્યા ગયા. આ પછી, મોટરસાઇકલ પર આવેલા 300 થી વધુ બંદૂકધારીઓએ જામફ્રાના અંકા સ્થાનિક વિસ્તારના આઠ ગામોમાં ઘૂસીને મંગળવારે ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ બુધવારથી ગુરુવાર સુધી અંકા અને બુક્ક્યુમ જિલ્લાના 10 ગામોમાં પણ તોડફોડ કરી, રહેવાસીઓ પર ગોળીબાર કર્યો, લૂંટ ચલાવી અને ઘરોને આગ લગાડી.
કુર્ફા દાન્યા ગામના રહેવાસી બાબાબંદી હમીદુએ જણાવ્યું હતું કે, હુમલાખોરો “જોઈને કોઈને પણ ગોળી મારી રહ્યા હતા.” રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૈન્યએ ગુનાહિત ગેંગને શોધી કાઢવા અને તેને દૂર કરવા માટે વધુ સાધનો મેળવ્યા છે. આ સંકટના કારણે દેશના લોકો આતંકના કહેરમાં જીવવા મજબૂર છે. તેમના પર ગેરકાયદેસર રીતે ટેક્સ નાખવામાં આવી રહ્યો છે.
બુહારીએ કહ્યું, “ડાકુઓના નિર્દોષ લોકો પરના હુમલાઓ સામૂહિક હત્યારાઓની નિરાશા દર્શાવે છે, જેઓ હવે આપણા સશસ્ત્ર દળોના દબાણ હેઠળ છે.” બુહારીએ કહ્યું કે, સરકાર સશસ્ત્ર ગેંગથી છુટકારો મેળવવા માટે તેની લશ્કરી કામગીરીમાંથી પાછળ નહીં હટે.
ઉત્તરપશ્ચિમ નાઇજિરીયામાં 2020 ના અંતથી સામૂહિક અપહરણ અને અન્ય હિંસક ગુનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આતંકવાદીઓ સામે લડી રહી છે. ગયા વર્ષે, ડાકુઓએ ઘણી વખત શાળા અને કોલેજો પર હુમલો કરીને સેંકડો વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. આમાંથી મોટાભાગનાને મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ મળ્યા નથી.
આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી