છેલ્લા એક દાયકાથી આતુરતાપૂર્વક રાહ જોવાતી ઘોરાડ પક્ષીની ખુશખબર આખરે કચ્છમાંથી આવી છે. ઘોરાડના કુદરતી નિવાસસ્થાન એવા કચ્છના રણમાં લગભગ 10 વર્ષ બાદ બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સમાન છે.
જેસલમેરથી લાવવામાં આવ્યું ફર્ટાઈલ ઈંડું
કચ્છના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં માત્ર ગણીગાંઠી માદા ઘોરાડ જ બચી હતી, જેના કારણે તેની સંખ્યા વધારવાનું મિશન ખૂબ જ પડકારજનક બન્યું હતું. આ માટે રાજસ્થાનના જેસલમેર સ્થિત બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફર્ટાઈલ ઈંડું સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિક પદ્ધતિથી સફળ પ્રયોગ
વૈજ્ઞાનિક પદ્ધતિથી તે ઈંડાને અહીંની માદા ઘોરાડના ઈંડા સાથે અદલાબદલી કરવામાં આવી, જેથી માદા તેને સ્વાભાવિક રીતે સેવી શકે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વન વિભાગે અત્યંત સાવચેતી રાખી હતી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
24 કલાક સુરક્ષા હેઠળ નવજાત બચ્ચું
હાલમાં નવજાત બચ્ચું અને માદા ઘોરાડ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. તેમની સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી છે, જે 24 કલાક નજર રાખી રહી છે. ખાસ કરીને શિકારી પ્રાણીઓ અને રખડતા શ્વાનોમાંથી બચ્ચાને બચાવવા માટે સમગ્ર વિસ્તારમાં કડક જાપ્તો ગોઠવાયો છે.
લુપ્ત થતી પ્રજાતિ માટે નવી આશા
વન સંરક્ષકે વધુમાં જણાવ્યું કે આ સફળતા સાથે હવે લુપ્ત થતી આ પ્રજાતિની સંખ્યા વધારવાની નવી આશા જાગી છે. આ મોડેલ ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની શકે છે. હાલ વન વિભાગ આ વિસ્તારમાં માનવ હસ્તક્ષેપ ઓછો કરવા અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે.