“શાંતિના નામે અમેરિકાનો અસલી ચહેરો આવ્યો દુનિયાની સામે”: ઈરાન પર મિસાઈલ હુમલા બાદ રશિયાના મેદવેદેવે કર્યો જોરદાર પ્રહાર

ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત મિસાઈલ હુમલામાં ઈરાની કમાન્ડરોના મોતના સમાચાર બાદ રશિયા ભડક્યું છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે અમેરિકાની આકરી ટીકા કરતા કહ્યું કે, ઈરાન સાથેની શાંતિ મંત્રણા માત્ર એક બહાનું હતું અને અમેરિકાએ ફરી એકવાર પોતાનું અસલી રૂપ બતાવ્યું છે.

શાંતિના નામે અમેરિકાનો અસલી ચહેરો આવ્યો દુનિયાની સામે: ઈરાન પર મિસાઈલ હુમલા બાદ રશિયાના મેદવેદેવે કર્યો જોરદાર પ્રહાર
Image Credit source: TV9 Network
| Updated on: Feb 28, 2026 | 6:14 PM

શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાનના અનેક શહેરો પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં અનેક વરિષ્ઠ ઈરાની નેતાઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ જોવા મળી રહી છે.

અમેરિકા પર રશિયાનો ગંભીર આરોપ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના સાથી અને રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા અમેરિકા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, “શાંતિ સ્થાપવાના નામે દંભ કરનારાએ ફરી એકવાર પોતાનો અસલી ચહેરો બતાવ્યો છે. ઈરાન સાથે કરવામાં આવેલી તમામ વાટાઘાટો માત્ર એક બહાનું હતું. હકીકતમાં કોઈને પણ શાંતિ જાળવવામાં રસ નહોતો.”

શાંતિ મંત્રણા પર ઉઠાવ્યા સવાલ

મેદવેદેવે વોશિંગ્ટનની દાનત પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, અમેરિકાએ ક્યારેય ઈમાનદારીથી યુદ્ધ ટાળવા માટે વાતચીત કરી જ નથી. આ હુમલા સાબિત કરે છે કે મંત્રણા એ માત્ર દુનિયાની આંખમાં ધૂળ નાખવા માટેનું એક હથિયાર હતું.

રશિયન નાગરિકોને ‘ઈરાન છોડવા’ સલાહ

તેહરાનમાં સ્થિત રશિયન એમ્બેસીએ અમેરિકા અને ઈઝરાયેલના ‘આક્રમક વલણ’ની સખત નિંદા કરી છે. રશિયન એમ્બેસીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને ઈરાનમાં રહેતા રશિયન નાગરિકોને સલાહ આપી છે કે:

  • જો શક્ય હોય તો, તરત જ ઈરાન (ઈસ્લામિક રિપબ્લિક) છોડીને પોતાના દેશ પરત ફરો.
  • જે લોકો અત્યારે ઈરાનમાં છે, તેઓ અત્યંત સાવધ રહે અને લશ્કરી કે સરકારી ઈમારતોની નજીક જવાનું ટાળે.

મધ્ય-પૂર્વમાં વધી રહેલો આ તણાવ હવે રશિયા અને અમેરિકા વચ્ચેના નવા શીત યુદ્ધ (Cold War) તરફ ઈશારો કરી રહ્યો છે.

Iran Israel War Breaking: ઈરાની જનતા અત્યાચારી શાસનને ઉખેડી ફેંકે, નેતન્યાહુનો હુંકાર,સત્તા પરિવર્તન માટે કર્યુ આહ્વાન, વાંચવા માટે અહીં ક્લિક કરો