નેપાળની સેનાએ (Nepal Army) સોમવારે તે સ્થળ શોધી કાઢ્યું હતું જ્યાં રવિવારે નેપાળની ખાનગી તારા એરલાઇન્સ (Tara Airlines) નું વિમાન ક્રેશ (Plane Crash) થયું હતું. નેપાળ સેનાના પ્રવક્તાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, “સર્ચ અને રેસ્ક્યુ ટીમો (Search and rescue teams) એ પ્લેન ક્રેશ જે સ્થળે થયુ હતુ તે સ્થળ શોધી કાઢ્યું છે.” તારા એરનું 9 NAET ટ્વીન-એન્જિન એરક્રાફ્ટ, જેમાં ચાર ભારતીયો સહિત 22 લોકો સવાર હતા, તે રવિવારે સવારે પહાડી જિલ્લામાં ગુમ થયાના કલાકો પછી મુસ્તાંગ જિલ્લાના કોવાંગ ગામમાં ક્રેશ થયું હતું.
પોલીસ ઈન્સ્પેક્ટર રાજ કુમાર તમંગના નેતૃત્વમાં એક ટીમ હવાઈ માર્ગે અકસ્માત સ્થળે પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મુસાફરોના મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. હાલ પોલીસ અવશેષો એકત્ર કરી રહી છે. આજે વહેલી સવારે નેપાળ સેનાએ જણાવ્યું હતું કે તારા એરલાઈન્સના પ્લેનને શોધવા અને બચાવના પ્રયાસો ફરી શરૂ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનની શોધમાં રહેલા તમામ હેલિકોપ્ટર્સને રવિવારે મસ્તાંગ જિલ્લામાં હિમવર્ષા બાદ રોકી દેવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ નેપાળ સેનાને આપેલી માહિતી અનુસાર, તારા એરલાઈન્સનું વિમાન મનપતિ હિમાલમાં ભૂસ્ખલનને કારણે લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું. આ 19 સીટર વિમાનમાં 4 ભારતીય, 3 વિદેશી અને 13 નેપાળી નાગરિકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના અધિકારીઓએ દૂરથી ધુમાડો નીકળતો જોયો, જેના પગલે વિમાનને ટ્રેસ કરવામાં આવ્યું છે.
સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે સ્થાનિક લોકોએ નેપાળ સેનાને આપેલી માહિતી મુજબ, તારા એરલાઈન્સનું વિમાન લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું. ખરાબ હવામાનના કારણે નેપાળની સેનાને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી હતી.
રવિવારે સવારે તારા એરલાઈન્સના વિમાને નેપાળમાં ઉડાન ભરી હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તારા એરના ડબલ એન્જિનવાળા વિમાને સવારે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. પ્લેન સાથે છેલ્લો સંપર્ક રવિવારે સવારે 9:55 વાગ્યે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન માત્ર 15 મિનિટની ઉડાન માટે હતું અને તેમાં 22 મુસાફરો સવાર હતા. 5 કલાક પછી પણ તેની કોઈ ભાળ ન મળતાં પ્લેન ક્રેશ થયું હોવાની આશંકા હતી.