
ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા બાદ દેશને કરેલા પ્રથમ સંબોધનમાં, મુજતબા ખામેનેઈએ, અમેરિકા અને ઇઝરાયલને પોતાનું કડક વલણ બતાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. ઈરાન તેમના દરેક શહીદની શહાદતનો બદલો લેશે. અમે કોઈની શહાદત ભૂલીશું નહીં. અમે ઈરાની લોકોના લોહીનો બદલો લોહીથી લઈશું. અમે અમારા દરેક નિર્દોષ બાળકના મોતનો બદલો લઈશું. મુજતબા ખામેનેઈએ પડોશી દેશોને પણ તેમની ધરતી પરથી અમેરિકાને હાંકી કાઢવા વિનંતી કર હતી. સાથોસાથ જણાવ્યું કે, અમે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના તમામ સૈન્ય બેઝ પર હુમલો કરીશું.
“અમે ચોક્કસપણે અમારા શહીદોના લોહીનો બદલો લઈશું, ખાસ કરીને મીનાબના શહીદોના લોહીનો,” ખામેનેઈએ ઈરાની સેનાની પણ પ્રશંસા કરતા કહ્યું કે ઈરાની સેના મજબૂતીથી પોતાના દેશનો બચાવ કરી રહી છે અને દુશ્મનના હુમલાઓનો જડબેસલાક જવાબ આપી રહી છે. અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓના ભોગ બનેલા લોકોને સંબોધતા, તેમણે તેમની ધીરજ માટે સરાહના કરી અને તેમને ખાતરી આપી કે દરેક ઈરાની શહીદના લોહીનો બદલો લેવામાં આવશે.
ખામેનેઈએ કહ્યું કે ઈરાન તેના પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઈરાને તેના પડોશીઓ પર હુમલો નથી કર્યો, પરંતુ તે દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
ઈરાનના નવા સુપ્રીમ લીડરએ કહ્યું કે, જો દુશ્મન નુકસાનની ભરપાઈ નહીં કરે, તો અમે તેમની જેટલી જરૂરી લાગે તેટલી મિલકતો જપ્ત કરીશું. જો આ શક્ય ના હોય, તો અમે દુશ્મનની જેટલી જરૂરી હોય તેટલી મિલકતનો નાશ કરીશું. તેમણે રેજિસ્ટેંસ ફ્રન્ટ લડવૈયાઓનો પણ આભાર માન્યો અને કહ્યું, “અમે રેજિસ્ટેંસ ફ્રન્ટને દેશના શ્રેષ્ઠ મિત્રો માનીએ છીએ.”
તેમણે કહ્યું, “બધી મુશ્કેલીઓ છતાં બલિદાન આપનાર હિઝબુલ્લાહ બાબતે કહ્યું કે, તેઓ ઈરાનને મદદ કરવા આગળ આવ્યા છે. બહાદુર ઈરાકી રેજિસ્ટેંસ પણ દૃઢ નિશ્ચય સાથે એ જ માર્ગ પર ચાલતા રહ્યા છે.” અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પદ સંભાળ્યા પછી મુજતબાનું આ પહેલું નિવેદન હતું, જે સરકારી ટેલિવિઝન પર વાંચવામાં આવ્યું હતું. જો કે, તેઓ કેમેરા સામે જોવા મળ્યા ના હતા.