Breaking News: ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ કોમામાં હોવાનો દાવો, એક પગ ગુમાવ્યાની પણ ચર્ચા

રિપોર્ટ મુજબ મુજ્તબા ખામેનેઈ તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલના ICUમાં દાખલ છે. હોસ્પિટલના એક ભાગને કડક સુરક્ષા વચ્ચે સીલ કરી દેવામાં આવ્યો છે. અખબારે પોતાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ઈરાનના તબીબી શિક્ષણ મંત્રી રેઝા ઝફરગંદી ખુદ તેમના સારવારની દેખરેખ રાખી રહ્યા છે.

Breaking News: ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ કોમામાં હોવાનો દાવો, એક પગ ગુમાવ્યાની પણ ચર્ચા
Image Credit source: KSL News
| Updated on: Mar 13, 2026 | 12:38 PM

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈને લઈને રહસ્યો વધારે ઘેરાતા જાય છે. તેમને લઈને ઘણા બધા દાવા કરવામાં આવી રહ્યા છે. તેમની નવી તસવીરો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી દ્વારા છેડછાડ કરવાના આરોપો લાગ્યા છે અને હવે પશ્ચિમી મીડિયામાં તેમની તબિયત અંગે ઘણા બધા દાવાઓ સામે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે તેઓ કોમામાં છે અનેતેમનો એક પગ કાપવો પડ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે મુજ્તબા હજુ જીવિત છે, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

28 ફેબ્રુઆરીના હવાઈ હુમલા બાદ, જેમાં તેમના પિતા અને સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનુ મૃત્યુ થયું હતું. મુજ્તબા 5 દિવસ પહેલા જ ઇરાનના નવા સુપ્રીમ લીડર બન્યા, ત્યારથી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી. આ બાજુ, તેહરાનના એક સૂત્રએ દાવો કર્યો છે કે તેમના લિવરમાં ઇજાઓ થઈ છે અથવા તો પેટમાં નુકસાન પહોંચ્યું છે.

પગ, પેટ અને લિવરમાં ગંભીર ઇજાઓ

બ્રિટિશ અખબાર ધ સનના રિપોર્ટ મુજબ, 56 વર્ષીય મુજ્તબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે, કોમામાં છે અને તેમનો એક પગ કાપી નાખવામાં આવ્યો છે. તેમને પેટ અને લિવરમાં ગંભીર ઇજાઓ થઈ છે અને તેમની તબિયત પણ ખૂબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે. જોકે આ દાવાઓની હજી સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુજ્તબા વિશે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર હજુ પણ “કોઈને કોઈ રીતે” જીવિત છે, ભલે ઈરાનમાં યુદ્ધ શરૂ થયા પછી પદ સંભાળ્યા બાદથી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી. ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે કદાચ તેઓ જીવિત છે. મને લાગે છે કે તેમને ઈજા પહોંચી છે, પરંતુ તેઓ કોઈને કોઈ રીતે જીવિત છે.”

શું 28 ફેબ્રુઆરીના રોજ ઘાયલ થયા હતા?

એવું કહેવામાં આવી રહ્યું છે કે 28 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં મુજ્તબા ખામેનેઈ ઘાયલ થયા હોઈ શકે છે જેમાં તેમના પિતા અને ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનુ મૃત્યુ થયું હતું.જોકે, ઈરાની સરકારે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ૮ માર્ચે, તેમના પિતાના મૃત્યુના નવ દિવસ પછી, મુજ્તબા ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા. જે દિવસે તેમના નામની જાહેરાત કરવામાં આવી,તે દિવસે ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો કે તેઓ ટૂંક સમયમાં રાષ્ટ્રને સંબોધિત કરશે, પરંતુ આવું થયું નહીં.

ટીવી પર સંદેશ આપ્યો, પરંતુ જાહેરમાં દેખાયા નહીં.

સુપ્રીમ લીડર બન્યાના લગભગ પાંચ દિવસ પછી, મુજ્તબા ખામેનેઈનો પહેલો સંદેશ જારી કરવામાં આવ્યો. તેમાં ગલ્ફ ક્ષેત્રમાં સતત હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.જોકે, આ સંદેશ એક ટીવી એન્કરે મોટેથી વાંચ્યો હતો, જ્યારે મુજ્તબા પોતે કેમેરા પર જોવા મળ્યા ન હતા.

વાયરલ ફોટોથી વિવાદ થયો

મુજ્તબા ખામેનેઈના એક નવા ફોટાએ પણ વિવાદ જગાવ્યો છે. બીબીસી ફેક્ટ ચેકના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાની મીડિયામાં પ્રકાશિત થયેલી નવી છબી વાસ્તવમાં ઘણા વર્ષો પહેલાની હતી. જેને AI નો ઉપયોગ કરીને એક નવું પોટ્રેટ બનાવવા માટે સંપાદિત કરવામાં આવ્યું હતું. આ ચોરી ગુગલના SynthID ટૂલનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવી હતી.

આ તપાસમાં ગુગલના SynthID ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટૂલે છબીમાં ડિજિટલ વોટરમાર્ક શોધી કાઢ્યા હતા, જે દર્શાવે છે કે ફોટો ગુગલના AI ટૂલ્સનો ઉપયોગ કરીને સંપાદિત કરવામાં આવ્યો હોઈ શકે છે.

જૂનો ફોટો નવો ગણાવી દેવામાં આવ્યો

રિવર્સ ઇમેજ સર્ચમાં એ પણ જાણવા મળ્યું કે આ કોઈ નવો ફોટો નથી. હકીકતમાં, આ ઘણા વર્ષો પહેલા મુજ્તબા ખામેનેઈનો ફોટો છે, જે તેમણે સરકાર તરફી રેલીમાં હાજરી આપી હતી ત્યારે લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂના ફોટાને AIનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડ અને નજીકના લોકોને દૂર કરવા અને તેને નવા પોટ્રેટ તરીકે રજૂ કરવા માટે રિટચ કરવામાં આવ્યો હતો.આ ફોટો ઈરાનના રાજ્ય મીડિયામાં વ્યાપકપણે પ્રસારિત થયો હતો અને મુજ્તબાના નવા બનાવેલા એકાઉન્ટ,X પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેધરલેન્ડથી સંચાલિત હોવાનું કહેવાય છે.

ઘાયલ યોદ્ધા તરીકે બતાવવાનો પ્રયાસ

ઈરાનના સરકારી ટીવી એન્કર્સ મુજ્તબા ખામેનેઈને “રમઝાનના યુદ્ધ નાયક” તરીકે ઓળખાવી રહ્યા છે, જેનો અર્થ “ઘાયલ યોદ્ધા” થાય છે. તે સ્પષ્ટ થયું નથી કે તે ખરેખર કોઈ હુમલામાં ઘાયલ થયા હતા કે નહીં. જોકે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી મુજ્તબા જાહેરમાં જોવા મળ્યા નથી. AI ફોટો વિવાદ અને ત્યારબાદના સ્વાસ્થ્ય દાવાઓએ તેમની સ્થિતિ અંગે અટકળોને વેગ આપ્યો છે.

Breaking News: ઈઝરાયલના હુમલામાં તુર્કીનું કનેક્શન ! ખુલાસાથી મિડલ ઈસ્ટમાં હડકંપ