સ્મોકિંગથી મેન્ટલ સ્ટ્રેસ દૂર થતો હોવાની માન્યતા માત્ર ભ્રમ, જાણો ધૂમ્રપાન કેવી રીતે છે તમારા માટે ‘સાઇલેન્ટ કિલર’
શું તમે પણ તણાવ દૂર કરવા સિગારેટનો સહારો લો છો? સાવધાન, નિકોટિનથી મળતી થોડી ક્ષણોની રાહત તમને કેન્સર અને હાર્ટ એટેક જેવા ગંભીર જોખમો તરફ ધકેલી રહી છે. જાણો સ્મોકિંગની આદત શરીરના અંગોને કેવી રીતે બરબાદ કરે છે.

આજના ભાગદોડભર્યા જીવનમાં ઓફિસ વર્ક કે અંગત સમસ્યાઓના કારણે લોકોમાં સ્મોકિંગનું પ્રમાણ વધ્યું છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે સ્મોકિંગ કરવાથી તેમનો માનસિક તણાવ ઓછો થાય છે. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, આ માત્ર એક ભ્રમ છે. હકીકતમાં, સ્મોકિંગ તણાવ ઘટાડવાને બદલે તમારા શરીરના મુખ્ય અંગો પર ગંભીર હુમલો કરે છે.
નિકોટિનનો ભ્રમ અને મગજ પર અસર
સિગારેટમાં રહેલું ‘નિકોટિન’ મગજમાં પહોંચીને ‘ડોપામાઇન’ (ફીલ ગુડ હોર્મોન) રિલીઝ કરે છે. આનાથી વ્યક્તિને થોડી સેકન્ડો માટે સારું લાગે છે, જેને લોકો તણાવમુક્તિ સમજી બેસે છે. પરંતુ જેવું નિકોટિનનું લેવલ ઘટે છે, કે તરત જ વ્યક્તિમાં ચિડચિડિયાપણું, બેચેની અને વધુ તણાવ વધે છે. આમ, સ્મોકિંગ તમને માનસિક રીતે વધુ નબળા બનાવે છે.
સ્મોકિંગ કેટલું ખતરનાક? (ગંભીર અસરો)
લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાની આદત શરીરને અંદરથી ખતમ કરી નાખે છે:
- ફેફસાંનું કેન્સર: ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ફેફસાંનું કેન્સર થવાનું જોખમ સૌથી વધુ હોય છે.
- શ્વાસની ગંભીર બીમારીઓ: સ્મોકિંગથી ફેફસાંમાં સોજો આવે છે અને COPD જેવી જીવલેણ બીમારીઓ થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
- હાર્ટ એટેકનું જોખમ: વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સ્મોકિંગથી હૃદયની ધમનીઓ બ્લોક થાય છે, જે સીધો હાર્ટ એટેક કે સ્ટ્રોક નોતરે છે.
- નબળી રોગપ્રતિકારક શક્તિ: ધૂમ્રપાન કરવાથી શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ ઘટી જાય છે.
આદત છોડવી કેમ જરૂરી?
એક્સપર્ટ્સના મતે, સ્મોકિંગ છોડ્યા પછી શરૂઆતમાં થોડી તકલીફ થઈ શકે છે, પરંતુ તેના ફાયદા જીવનભર મળે છે. વિવિધ થેરાપી અને કાઉન્સેલિંગ દ્વારા આ જીવલેણ આદતમાંથી મુક્તિ મેળવી શકાય છે. જો તમે આજે સ્મોકિંગ નહીં છોડો, તો કાલે તમારું શરીર તમારો સાથ છોડી શકે છે.
એક્સપર્ટ્સના મતે તમે આ ઍક્ટિવિટી પણ કરી શકો છો,
- ડાંસ કરવાનો શોખ હોયે તો ડાંસ કરી શકો છો,
- પાર્કમાં ચાલવા જઈ શકો છો અથવા કસરત કરી શકો છો જે સૌથી ફાયદાકારક સાબિત થાય છે,
- જો તમને કાર કે બાઇક ડ્રાઇવ કરવું ગમતું હોય તો તમે નાનકડી રાઈડ કરી શકો છો,
- જો તમે સંગીત સાંભળવું ગમે છે તો તમે તમારું મન પસંદ સંગીત સાંભળી શકો છો
તમે તણાવ ઘટાડવા માટે આ પ્રકારની ઍક્ટિવિટી કરી શકો છો અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકો છો.
