કોરોના કરતા પણ વધુ ઘાતક છે TB, ગુજરાતમાં દર દોઢ મીનીટે એકનું મૃત્યુ અને વર્ષે TB ના દોઢ લાખ નવા કેસો
એક સર્વે મુજબ ટીબી (Tuberculosis - TB) નો એક દર્દી જો સમયસર સારવાર ન લે તો તે 10 થી વધુ વ્યક્તિઓને એક જ વર્ષમાં સંક્રમિત કરી શકે છે, માટે ટીબીના વધતા કેસો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
Tuberculosis – TB : કોરોનાની મહામારી (The epidemic of corona) એ વિશ્વના તમામ લોકોને ઘણું બધું શીખવ્યું છે કોરોના ના કારણે લાખો લોકોના મૃત્યુ પણ થયા પરંતુ જાણીને નવાઈ લાગશે કે કોરોના કરતાં પણ ખતરનાક બીમારી માટે દેશની જનતા જાગૃત બિલકુલ નથી.જી હા વાત TBની બીમારીની છે. વિશ્વના ચોથા ભાગના TB ના દર્દીઓ ભારત દેશમાં નોંધાય છે. દર દોઢ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ ટિબીના કારણે ગુજરાતમા થાય છે જે બાબતે લોકો બિલકુલ જાગૃત નથી.
દર વર્ષે ગુજરાતમા 10 હજાર, ભારતમા 4.4 લાખ લોકોના મૃત્યુ Covid-19 ની શરૂઆત થતાં જ લોકોમાં કોરોનાનો ભય સહજતાથી જોવા મળ્યો. આ બાબતે લોકોની જાગૃતિ અને સતર્કતા એટલી જ જોવા મળી. દુઃખદ બાબત એ છે કે દેશભરમાં વધી રહેલા TB ના કેસો બાબતે લોકો સાવ અજાણ છે. દર વર્ષે દેશભરમાં TB ના 26 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે, તો ગુજરાતમાં દર વર્ષે TB ના દર્દીઓમાં દોઢ લાખનો વધારો થાય છે. મૃત્યુ પર નજર કરીએ તો દેશમાં ટીબીના કારણે દર વર્ષે 4.4 લાખ લોકો મૃત્યુ ને ભેટે છે તો ગુજરાતમાં વર્ષમાં 10,000 લોકો મૃત્યુ પામે છે. આ આંકડા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બનતો જાય છે.
દેશમાં દર 3 મિનિટે બે વ્યક્તિના મૃત્યુ ભારતમાં દર ત્રણ મિનિટે બે વ્યક્તિના ટીબી (Tuberculosis – TB) ના કારણે મૃત્યુ થાય છે, તો ગુજરાતમાં દર દોઢ મિનિટે એક વ્યક્તિ ટીબીના કારણે મોતને ભેટે છે. એક સર્વે મુજબ ટીબીનો એક દર્દી જો સમયસર સારવાર ન લે તો તે 10 થી વધુ વ્યક્તિઓને એક જ વર્ષમાં સંક્રમિત કરી શકે છે, માટે ટીબીના વધતા કેસો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
ટીબીના કારણે સતત વધતા મૃત્યુઆંક અને કેસ ને કેવી રીતે કાબૂમાં લેવા તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેટલાક ટીબીના દર્દીઓ પોતાની ઓળખ છુપાવી ખાનગી રાહે દવાઓ લઇ સારવાર મેળવતા હોય છે પરંતુ આવા જ દર્દીઓ પોતાના પરિવારજનો તેમજ સંપર્કમાં આવતા વ્યક્તિઓ માટે વધુ જોખમી બને છે માટે આ બાબતે જાગૃતિ ખુબ જરૂરી બની છે.
રાજ્યના ટીબી વિભાગે કમર કસી રાજ્યના ટિબી વિભાગ દ્વારા ટીબીના વધતા જતા કેસોને અટકાવવા માટે મેડિકલ ક્ષેત્રના તમામ એશોસિયેશનના અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવ્યા અને ટીબી (Tuberculosis – TB) ના કેસને અટકાવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવા માટે કમર કસી છે. ટિબી વિભાગે રાજ્યના તમામ કેમિસ્ટ અને ડ્રગીસ્ટ સાથે સંકળાયેલા એસોશિયેશનના લોકોને કોઈપણ દર્દી ટીબીની દવાઓ ખરીદે તો તેનો નિયમ મુજબયોગ્ય રેકોર્ડ રજીસ્ટર માં રાખવા માટે કડક સૂચના અપાઇ છે જેથી તમામ દર્દીઓને યોગ્ય માહિતી સરકારી ચોપડે નોંધાઈ શકે અને સંક્રમણ અટકાવી શકાય.
રાજ્યના તમામ મેડીકલ સ્ટોરના દવાઓના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ જો ટીબીની દવાઓ રજીસ્ટરમાં એન્ટ્રી વિના વેચતા જણાશે તો તેમના વિરુદ્ધમાં કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવાનું મન સરકારે બનાવ્યુ છે. દવાઓના વેપારીઓએ ટીબીની દવા ખરીદનાર દર્દીનું નામ, નંબર, સરનામું સહિતની તમામ વિગતો પોતાના રજીસ્ટરમાં મેન્ટેન કરવી પડશે, જેથી કેટલા વ્યક્તિઓ ટીબીથી સંક્રમિત થયા છે તેનો પણ ચોક્કસ આંકડો જાણી શકાય.