
છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજકાલ યુવાનોમાં પણ હાર્ટ એટેક અને અન્ય હૃદયરોગોની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તબીબી નિષ્ણાતો કહે છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે યોગ્ય જીવનશૈલી અને સંતુલિત આહાર ખૂબ મહત્વનો છે. તાજેતરમાં થયેલી એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતીય ખોરાક અને મેડિટેરેનિયન ડાયેટનું સંયોજન હૃદયના આરોગ્ય માટે ખૂબ અસરકારક બની શકે છે.
વિશ્વભરમાં મેડિટેરેનિયન ડાયેટને સૌથી સ્વસ્થ આહાર પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. આ ડાયેટમાં ફળ, શાકભાજી, સાબૂત અનાજ અને હેલ્ધી ફેટનો વધુ ઉપયોગ થાય છે. હવે નવી સંશોધન મુજબ જો આ ડાયેટને ભારતીય ખોરાક સાથે જોડવામાં આવે તો તે હૃદય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દિલ્હીમાં આવેલી All India Institute of Medical Sciencesમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ બાબત સામે આવી છે.
આ અભ્યાસ દરમિયાન ડોક્ટરો દ્વારા ખાસ પ્રકારની ડાયેટ તૈયાર કરવામાં આવી હતી જેમાં ભારતીય દાળ, શાકભાજી અને સાબૂત અનાજને મેડિટેરેનિયન આહાર સાથે જોડવામાં આવ્યા હતા. નવી દિલ્હીના કાર્ડિયોલોજી ક્લિનિકમાં હૃદયના દર્દીઓ પર આ આહારનું પરીક્ષણ કરવામાં આવ્યું. કુલ લગભગ 53 દર્દીઓએ લગભગ ત્રણ મહિના સુધી આ ડાયેટનું પાલન કર્યું.
અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું કે આ ડાયેટ અપનાવનાર લોકોના વજનમાં ઘટાડો જોવા મળ્યો. સાથે જ બ્લડ શુગરનું સ્તર પણ નિયંત્રણમાં રહ્યું. ઉપરાંત શરીરમાં રહેલા લેપ્ટિન હોર્મોનનું સંતુલન પણ સુધર્યું. આ હોર્મોન શરીરમાં સોજા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેના અસંતુલનથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.
કાર્ડિયોલોજી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ડાયેટ એક પ્રકારની એન્ટી-ઇન્ફ્લેમેટરી ડાયેટ તરીકે કાર્ય કરે છે. શરીરમાં સોજો ઓછો કરવો હૃદયના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ફળ, શાકભાજી, સાબૂત અનાજ અને હેલ્ધી ફેટથી ભરપૂર આહાર શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. પરિણામે હૃદય પરનો દબાણ ઓછો
થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટે છે.
આ ખાસ ડાયેટમાં દાળ, ચણા અને પનીર જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો શાકાહારી હોવાથી દાળ અને લીગ્યુમ્સને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સાબૂત અનાજ તરીકે બાજરી અને જવ અને જેવા અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. રોટલી અને ચપાતી માટે મેંદાની
જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત આ ડાયેટમાં હેલ્ધી ફેટ પણ મહત્વપૂર્ણ ભાગ છે. તેના માટે મુખ્યત્વે મગફળીનું તેલ અને સરસોનું તેલ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ઘી અને નાળિયેરના તેલનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે જેથી હૃદય માટે વધુ સ્વસ્થ વિકલ્પ મળી શકે.
તબીબી નિષ્ણાતો જણાવે છે કે હૃદય સંબંધિત બીમારીઓમાં વધારાનું એક મોટું કારણ ખોરાકની ખરાબ આદતો છે. આજકાલ લોકો જંક ફૂડ અને તળેલા ખોરાકનું વધુ સેવન કરે છે. સાથે જ પ્રોટીન, વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર આહાર ઓછો લેવાય છે. આવી આહારશૈલી લાંબા ગાળે હૃદયના આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
આ કારણે નિષ્ણાતો સલાહ આપે છે કે સંતુલિત અને પોષણયુક્ત આહાર અપનાવવાથી હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.
જ્યુસ કરતાં આખું ફળ વધુ ફાયદાકારક? ડોક્ટરની શું છે સલાહ જાણવા માટે અહી ક્લિક કરો.