તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે ? માત્ર 2 જ ઈન્જેકશન લેવાથી થશે સારું, રોજ નહીં ખાવી પડે દવા
બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો, તેમના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે રોજેરોજ દવાઓ લે છે. જો કે, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષમાં માત્ર બે ઈન્જેક્શનથી બ્લડ પ્રેશરની સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત સહીત સમગ્ર વિશ્વમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે રોજબરોજ દવાઓ લે છે. જો કે, એક મેડીકલ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષમાં ફક્ત બે ઈન્જેક્શન લેવાથી હાઈ બ્લડ પ્રેશરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. વૈજ્ઞાનિકો એક એવી થેરાપી પર કામ કરી રહ્યા છે, જે ફક્ત બે ઈન્જેક્શનથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. સંશોધનમાં RNA ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત ઈન્જેક્શનનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઈન્જેક્શન શરીરમાં એન્જીયોટેન્સિન નામનુ એક હોર્મોન કે, જે બ્લડ પ્રેશર વધારે છે, તેનું ઉત્પાદન ઘટાડે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અને ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું છે કે, વર્ષમાં માત્ર બે વાર ઈન્જેક્શન લેવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. આ ઈન્જેક્શન શરીરમાં હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે, તે પ્રોટીનને અવરોધે છે. નિષ્ણાતો માને છે કે આ ઈન્જેક્શન એવા દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે જેઓ દરરોજ તેમની દવા લેવા માંગતા નથી અથવા કોઈ કારણોસર તેને લેવાનું ભૂલી જાય છે.
શું આ દવા પહેલાથી જ રિલીઝ થઈ ગઈ છે?
ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન સૂચવે છે કે ઇન્જેક્શન પર ફક્ત ક્લિનિકલ ટ્રાયલ જ કરવામાં આવ્યા છે. ઇન્જેક્શન પર હજુ વધુ સંશોધન ચાલી રહ્યું છે, તેથી તેને મંજૂરી મળવામાં સમય લાગી શકે છે. હાલમાં, ઇન્જેક્શન BP દર્દીઓ સાથે ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. એકવાર તેને મોટા પાયે સંશોધનમાં સામેલ કરવામાં આવે, પછી સામાન્ય લોકો માટે તેની અસરકારકતા નક્કી કરવામાં આવશે. જો કે, પ્રારંભિક પરીક્ષણોમાં આ ઇન્જેક્શન એકદમ સલામત હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
WHO અનુસાર, વિશ્વભરમાં 1.4 અબજથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પિડાઈ રહ્યાં છે. લગભગ 44 % લોકો તેમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેનાથી સાવ અજાણ છે. ઘણા કિસ્સાઓમાં, બીજી સ્થિતિની સારવાર દરમિયાન હાઈ બ્લડ પ્રેશર શોધવામાં આવે છે.
સંશોધન પૂર્ણ થયા પછી તેના ફાયદા શું હોઈ શકે?
- દરરોજ દવા લેવાની જરૂર રહેશે નહીં.
- હાઇપરટેન્શન નિયંત્રણમાં રહેશે.
- વર્ષમાં ફક્ત બે વાર ઇન્જેક્શનની જરૂર પડશે.
- સ્ટ્રોક અને હૃદય રોગ પણ અટકાવવામાં આવશે.