દૂધ પીવાનો યોગ્ય સમય શું છે? કયા સમયે દૂધ પીવાથી થઈ શકે છે નુકશાન? વાંચો અહેવાલ
વૈજ્ઞાનિક સંશોધન વિશે વાત કરીએ તો દૂધ પીવુ એ સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્ય અને પાચન ક્રિયા પર આધારિત છે.
જે લોકોને દૂધ પીવું ગમે છે, તેમના માટે દૂધ પીવાનો કોઈ સમય નથી. પરંતુ જો તંદુરસ્તીની વાત કરવામાં આવે, તો ગાયનું દૂધ પીવાનો યોગ્ય સમય રાત હોવી જોઈએ. આયુર્વિજ્ઞાન અનુસાર, દૂધમાં નિંદ્રા પ્રેરિત ગુણધર્મો હોય છે અને તે સુપાચ્ય નથી, જેના કારણે તે સવારે પીવું યોગ્ય નથી. જો વૈજ્ઞાનિક સંશોધન વિશે વાત કરીએ તો દૂધ પીવુ એ સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્ય અને પાચન ક્રિયા પર આધારિત છે. તો ચાલો જાણીએ ક્યારે દૂધનું સેવન કરવું જોઈએ.
સવારે દૂધ પીવાના ફાયદા
દૂધમાં ઘણાં પોષક તત્વો હોય છે. જો સવારના નાસ્તામાં દૂધ શામેલ કરવામાં આવે, તો તે ઘણી રીતે આરોગ્ય લાભ આપી શકે છે. દૂધ હાડકાંને મજબૂત બનાવે છે, તેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન હોય છે જે તમને દિવસભર એક્ટિવ રહેવામાં મદદ કરે છે. દૂધને પચવામાં સમય લાગે છે. તેથી જેમની પાચક શક્તિ નબળી હોય છે, તેઓને સવારે દૂધ પીધા બાદ દિવસ દરમિયાન પેટ ભારે લાગી શકે છે. ઘણા લોકોને પેટમાં દુખાવો અને અપચો પણ થઈ શકે છે.
રાત્રે દૂધ પીવાના ફાયદા
જો તમે રાત્રે સુતા પહેલા દૂધ પીવો છો, તો તમારું પેટ આખી રાત ભરાયેલું રહેશે અને તમને ભૂખ પણ નહી લાગે. જેથી ભૂખના કારણે રાત્રે તમારી ઉંઘ નહી ઉડે અને તમે આરામથી સૂઈ શકો છો. આયુર્વેદ અનુસાર રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે અને શરીરની માંસપેશીઓમાં પણ આરામ મળે છે, જેના કારણે ઉંઘ સારી આવે છે.
રાત્રે દૂધ પીવામાં ગેરફાયદા
જેમને લેક્ટો ઇનટોલરેંસની સમસ્યા છે તેઓએ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જે લોકોને ઇન્સ્યુલિનની સમસ્યા છે, તેઓએ પણ રાત્રે ડોક્ટરની સલાહ બાદ જ દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે જો તમે રાત્રે દૂધ પીતા હોય તો તમારું ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે.
તો ક્યારે દૂધ પીવું?
હેલ્થલાઇન મુજબ, દૂધ કયા સમયે પીવું સ્વસ્થ્ય માટે સારું છે, તે અંગે કોઈ ચોક્ક્સ પ્રમાણ નથી. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય અથવા તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા હોય તો વર્કઆઉટ પછી દૂધ પીવું એ શ્રેષ્ઠ સમય છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે.