ગુજરાતમાં કેરીનુ (Mango) માર્કેટમાં આગમન થઇ ગયુ છે અને કચ્છની (Kutch) કેસર કેરી પણ હવે મે મહિનાના અંત સુધીમાં માર્કેટમાં આવશે.જેને લઈને સોમવારે કેન્દ્રિય કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (Central Cluster Development Programe) અંતર્ગત ભુજ (Bhuj) ખાતે કચ્છ કેરી કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો વર્કશોપ યોજાયો હતો. તમને જણાવવું રહ્યું કે, બાગાયત કલસ્ટર ડેવલોમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશના 12 પાયલોટ કલસ્ટરો પૈકી રાજયમાં કચ્છની કેરી કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કચ્છ પસંદ કરાઇ છે.
જે અંતર્ગત ભુજ ખાતે કચ્છ મેંગો કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો એક દિવસ વર્કશોપ યોજાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ(National Horticulture Board) અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ના સહયોગથી યોજાયેલા વર્કશોપમાં ભારત સરકારની કલસ્ટર પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં 200 કરોડના રોકાણની પરિકલ્પના કરવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા રોકાણકારને 50 કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે. જેનાથી ખેડુતોને માહિતગાર કરાયા હતા. આ પરિકલ્પનાનો હેતુ ખેડૂત ઉત્પાદક સંગઠનો અને ફુડ પ્રોસેસીંગ સેકટરમાં જેટલા પણ સંગઠનોની આર્થિક ઉન્નતિમાં વધારો કરવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે (International Level) કેરીની બ્રાન્ડીંગ ઉભી કરવા કચ્છને કેરી કલસ્ટર તરીકે વિકસાવવાનો છે.
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડીશનલ જનરલ મેનેજર હેતલબેન દેસાઇએ કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મે 2021ના રોજ બાગાયત કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જે પૈકી દેશમાં પ્રાથમિક તબકકે 12 કલસ્ટરો પૈકી રાજયમાંથી કચ્છને કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ પસંદ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્રિય યોજનામાં મીડી કલસ્ટર કેટેગરીમાં 5 થી 15 હજાર હેકટર માટે રોકાણકારને 50 કરોડની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. તમને જણાવી દઈએ કે, FPO/AIF/MIDH યોજનાનું આ કન્વર્જન્સ છે. જેમાં કલસ્ટર બ્રાન્ડ અને પ્લાન્ટીંગ મટિરિયલ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેને ખેડૂતો FPO, મંડળીઓ, ઉધોગકારો અને નિકાસકારો સાથે મળીને આગળ વધારે તે ઉદ્દેશ છે. ઉલ્લેખનીય છે કે, કલસ્ટર પ્રોજેકટનાં મુડી રોકાણમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન નોડલ એજન્સી છે. માપદંડો આધારિત અમલીકરણ એજન્સીને ૫૦ કરોડની સહાય મળવાપાત્ર છે.
સંયુકત નિયામક ડો.ફાલ્ગુન મોઢએ જણાવ્યુ હતુ કે, બાગાયત ક્ષેત્રે સખત પરિશ્રમથી કચ્છના ખેડૂતોએ ક્રાંતિ કરી છે.વધુમાં તેણે જણાવ્યું કે,આ પરિકલ્પનાની મદદથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે. તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં યોજનાના અમલિકરણ અધિકારીઓ સાથે બાગયત વિભાગના નિષ્ણાંતો પણ હાજર રહ્યા હતા.
Published On - 7:37 am, Tue, 3 May 22