Valsad : ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓને 3-3 વર્ષથી ટેબ્લેટ આપવાના મુદ્દે સંચાલકોનો ઠેંગો
વિદ્યાર્થીઓની (Students ) વાત સાચી છે 989 વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે રૂપિયા આપ્યા હતા અને તેમના રૂપિયા ઉચ્ચ સ્તરે મોકલી આપ્યા હતા. પરંતુ ઉચ્ચ સ્તરેથી અમને ટેબલેટ ન અપાયા હોવાને કારણે અમે વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શક્યા નથી.
વલસાડ (Valsad )માં આવેલ ધરમપુરની વનરાજ કોલેજે વિદ્યાર્થીઓને ટેબલેટની (Tablet )સહાય આપવા માટે ત્રણ વર્ષ પહેલાં લાખો રૂપિયા ઉઘરાવી ઠેંગો બતાવતા વિવાદ (Controversy ) ઉભો થયો છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય પોતાના લેટરપેડ પર કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખી તત્કાળ ટેબલેટ આપવા અથવા નાણાં પરત કરવા જણાવતા મામલો ગરમાયો છે. વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ટેબ્લેટ માટે રજૂઆતો કરતા આવ્યા છે. છતાં આજ દિન સુધી તેમને ટેબ્લેટ મળ્યા નથી.
મળેલી વિગતો પ્રમાણે વનરાજ કોલેજમાં અભ્યાસ કરતા લગભગ 989 વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે 2019ના વર્ષમાં અરજી કરી હતી. કોલેજ સંચાલકોએ પ્રતિ વિદ્યાર્થી 1 હજાર રૂપિયાની વસૂલી કરી હતી. જેના લગભગ 9,89,000 રૂપિયા જમા કરાવ્યાને આજે ત્રણ વર્ષ કરતા વધારે સમય થઇ ગયા છતાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી. હવે આ મામલો આગામી દિવસોમાં મોટું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે.
કોલેજ સામે ધરણા પ્રદર્શનની ચીમકી
આ અંગે વિદ્યાર્થીઓએ ધરમપુર તાલુકા પંચાયતના મોટી ઢોલડુંગરી બેઠકના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલને ફરિયાદ કરતા કલ્પેશ પટેલે પોતાના લેટરપેડ પર કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખી જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન વર્ગો ચાલવતી હતી જે સમય દરમિયાન મોબાઇલથી વંચિત વિદ્યાર્થીઓનું ભણતર અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. જે બાબતને ધ્યાનમાં લઇ તમામ વિધાર્થીઓએ ટેબલેટ આપવામાં આવે અથવા તેમના રૂપિયા પરત આપી દેવામાં આવે. આ અંગે તાત્કાલિક યોગ્ય નિરાકરણ નહી કરવામાં આવશે તો આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ સાથે કોલેજ સામે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ આપી છે.
ઉચ્ચસ્તરેથી ટેબ્લેટ મળ્યા નથી : આચાર્ય
કોલેજના પ્રિન્સિપાલ ઉત્તમભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની વાત સાચી છે 989 વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે રૂપિયા આપ્યા હતા અને તેમના રૂપિયા ઉચ્ચ સ્તરે મોકલી આપ્યા હતા. પરંતુ ઉચ્ચ સ્તરેથી અમને ટેબલેટ ન અપાયા હોવાને કારણે અમે વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શક્યા નથી. જોકે વિદ્યાર્થીઓના પ્રશ્નની રજુઆત ઉપલા લેવલ સુધી કરવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી. અને આવનારા દિવસોમાં તેનું નિરાકરણ આવી જશે તેવી હૈયાધરપત પણ આપી હતી.