AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodaraમાં રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, તંત્ર માત્ર મોટા મોટા દાવા કરવામાં મસ્ત

Vadodara: શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરની સમસ્યા માઝા મુકી રહ્યુ છે, પરંતુ તંત્રને તેની જાણે કંઈ પડી નથી. માત્ર મોટા મોટા દાવા કરી સંતોષ માનતા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને નાગરિકો રોજ ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે.

Vadodaraમાં રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, તંત્ર માત્ર મોટા મોટા દાવા કરવામાં મસ્ત
રખડતા ઢોર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 4:21 PM
Share

વડોદરા (Vadodara)માં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે આમ લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ કોર્પોરેશન દાવા કરે છે કે રખડતા ઢોર (Stray cattle)ના નિવારણ માટે પગલા લેવાઈ રહ્યા છે. જો કે આ દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે. કોર્પોરેશન કચેરીની પાછળ આવેલા ખંડેરાવ ફ્રુટ બજારના દૃશ્યો તેની ચાડી ખાઈ રહ્યા છે. આ ફ્રુટ માર્કેટમાં જ્યાં જુઓ ગંદકી છે અને રસ્તા પર ઢોર પણ દૃશ્યમાન થાય છે. આ વિસ્તારમાં આ દૃશ્યો માત્ર એક દિવસ નહીં, પરંતુ રોજિંદા જોવા મળે છે. અહીંથી પસાર થતા સ્થાનિકો પણ ભય સાથે અહીંથી પસાર થાય છે. તેમનું કહેવુ છે કે અચાનક ઢોર અડફેટે લઈ તો ક્યાં જવુ, દિવસમાં કોઈ એક-બે વ્યક્તિ તો ઢોરની અડફેટે ચડી જ જાય છે.

રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી હોવા છતાં કોર્પોરેશન (Corporation) મોટી-મોટી ડિંગો હાંકવામાંથી બાઝ નથી આવી રહ્યુ. ખુદ અમારા સંવાદદાતાએ આ સ્થિતિ અંગે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરી હતી. જેમાં તેઓ જણાવે છે કે પહેલા કરતા હાલ ઢોરને પકડવા માટેની ટીમ પણ વધારી છે અને તેમને રાખવાની વ્યવસ્થા પણ વધારી છે. આવનારા સમયમાં જે પ્રમાણે બેઠકો થઈ છે અને લોકો પણ જાગૃત બન્યા છે, ત્યારે કોર્પોરેશન પણ સજાગતાથી આ સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરી રહ્યું છે.

હેલ્પલાઈન પર માત્ર ફરિયાદ લેવાય છે, ટીમ આવશે કે નહીં તેની કોઈ ખાતરી નહીં

જો કે કોર્પોરેશન જે પ્રમાણે હેલ્પલાઈનનો દાવો કરે છે ત્યારે એ હેલ્પલાઈન પર પણ અમારા સંવાદદાતા દ્વારા ફોન લગાવી રિયાલિટી ચેક કરવામાં આવ્યુ. જેમાં અમે જાણવા માગતા હતા કે કોર્પોરેશનના હેલ્પલાઈન નંબરમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી કરાય છે કે નહીં? અને જો કાર્યવાહી થાય છે તો કેવા પ્રકારની થાય છે ? ત્યારે અમારા સંવાદદાતાએ ખંડેરાવ ફ્રુટ માર્કેટથી હેલ્પલાઈન પર ફોન કર્યો. જેમાં હેલ્પલાઈન કર્મી પર ફરજ બજાવતી મહિલાએ કમ્પલેઈન તો લઈ લીધી, પરંતુ ઢોર પકડવા માટે ટીમ કેટલીવારમાં આવશે તેનો કોઈ યોગ્ય ઉત્તર આપ્યો ન હતો.

જેમાં તેમણે વોર્ડથી પ્રોસેસ થતી હોવાથી કોઈ સમય ન આપી શકીએ એવો જવાબ હેલ્પલાઈન પરના મહિલા કર્મીએ આપ્યો હતો. જે સ્પષ્ટ કરે છે કે હેલ્પલાઈન પર કમ્પલેઈન તો લઈ લેવાય છે, પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ જ પ્રકારની કામ ન કરવાની ઢીલી નીતિનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે અને રોજ કોઈને કોઈ નાગરિક રખડતા ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

g clip-path="url(#clip0_868_265)">