VADODARA : કોરોડોનો ખર્ચ, છતાં સુરસાગર તળાવની અવદશા પાછળ કોણ જવાબદાર ?
સુરસાગર તળાવમાં ભેદી સંજોગોમાં મોટી સંખ્યામાં માછલીઓ ના થઇ રહ્યા છે. મૃત માછલીઓને કારણે સમગ્ર તળાવની ફરતે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે.
VADODARA : વડોદરાની ઓળખ અને વડોદરાની શાન ગણાતું સુરસાગર તળાવ (Sursagar lake) તંત્રની લાપરવાહીને કારણે આસપાસના લોકો માટે સમસ્યા રૂપ અને માથાનો દુખાવો બની રહ્યું છે. બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ, છતાં સુરસાગર તળાવ દિનપ્રતિદિન બદતર બની રહ્યું છે. તળાવમાં માછલીઓ સતત મરી રહી હોવાથી ફેલાઈ રહેલી દુર્ગંધને કારણે આસપાસના વેપારીઓનું જીવવું, રહેવું અને ધંધો કરવો મુશ્કેલ બની ગયું છે.
વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવ એ વડોદરાની ઓળખ છે પરંતુ તેની યોગ્ય જાળવણી અને તેના સુશોભન માટે તંત્રની લાપરવાહીને કારણે દિનપ્રતિદિન હાલત બગડતી જઈ રહી છે.આ ઓછું હતું તો છેલ્લા એક સપ્તાહથી સુરસાગર તળાવમાં માછલીઓના સતત મોત થઈ રહ્યા છે, સુરસાગર તળાવમાં ભેદી સંજોગોમાં મોટી સંખ્યામાં માછલીઓના થઇ રહ્યા છે. મૃત માછલીઓને કારણે સમગ્ર તળાવની ફરતે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે.તો આસપાસ ખુલ્લા વાયરો અને દિવાલોમાં તિરાડો ઘણું બધું કહી જાય છે.
તંત્રની લાપરવાહીને કારણે તળાવમાં ખૂણે ખાંચરેથી ઠલવાઇ રહેલ કચરો અથવા વધી રહેલ પ્રદુષણને કારણે જળચરોના જીવન સામે ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો છે. થોડા સમય પૂર્વે બે મોટા કચબાઓના મોત અને ત્યાર બાદ મોટી સંખ્યામાં માછલીઓના મોતને કારણે તળાવનું પાણી વધુ દૂષિત અને દુર્ગંધ યુક્ત બન્યું છે. માછલીઓના સતત મોતને કારણે આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માછલીઓના મોત અને દુર્ગંધને કારણે આસપાસના સંખ્યાબંધ વેપરીઓ બીમાર પડ્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ઉડીને આંખે વળગે તેવી લાપરવાહીની અનેક બાબતો હોવા છતાં તંત્ર દ્વારા સુરસાગર તળાવના વિકાસ અને જાળવણી માટે પ્રયત્નશીલ હોવાનો દાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઓક્સિજનની ઉણપને કારણે જળચરના મોત થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે વેપારીઓ અને સ્થાનિકોને આશંકા છે કે તળાવને ફરતે કોર્પોરેશન દ્વારા જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવે છે તેને કારણે માછલીઓના મોત થઈ રહ્યા છે. તંત્ર હવે મોડે મોડે જાગ્યું છે અને મૃત માછલીઓની સફાઈ કરવાનું કહી રહ્યું છે.
તંત્ર ની લાપરવાહીને કારણે વિશ્વામિત્રી નદી કે શહેરના વિવિધ તળાવોનું પાણી દૂષિત થવાને કારણે વ્યાપક પ્રમાણમાં જળચરના મોત થઈ રહ્યા છે, પરંતુ શાસકોની અણઆવડત અને આળસને કારણે જળચરો સામેનો ખતરો દૂર થવાને બદલે વધુ ઘેરો બની રહ્યો છે.