વડોદરા: સૈનિકો જ મારા માનસપુત્રો માની 74 વર્ષિય સુલભાબેને પોતાની જીવનમૂડીમાંથી 5 લાખ રૂપિયાનો ચેક કર્યો અર્પણ
Vadodara: 74 વર્ષિય સુલભાબેને પોતાની જીવાઈમાંથી 5 લાખ રૂપિયાનો ચેક સૈનિકો માટે અર્પણ કર્યો છે. રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા મહિલાએ પોતાની જીવાઈમાંથી 5 લાખ રૂપિયાનું સૈનિકો માટે દાન કર્યુ છે.

દેશના સીમાડાઓની રક્ષા કરતા આપણાં ઝાંબાઝ સૈનિકોના કલ્યાણ માટે વડોદરાના એક મહિલાએ 5 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. કઠીન ભૌગોલિક સ્થિતિમાં પણ દેશની સરહદોનું અહર્નિશ રક્ષણ કરતા જાબાંઝ સૈનિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા એક મહિલાએ પોતાની જીવાઇમાંથી રૂ. 5 લાખનું દાન કરીને પ્રેરણાત્મક કાર્ય કર્યું છે. રૂ. પાંચ લાખનો ચેક તેમણે કલેક્ટર અતુલ ગોરને અર્પણ કર્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં રહેતા 74 વર્ષિય સુલભાબેન પરષોત્તમ સાને માર્ગ અને મકાન વિભાગના મિકેનિકલ વિભાગમાં નોકરી કરતા હતા અને વર્ષ 2006માં તેઓ રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયા હતા. નિવૃતિ સમયે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ બચત અને લાભોથી તેઓ પોતે પોતાનો આર્થિક નિર્વાહ સારી રીતે શકવા માટે સક્ષમ હતા.
સુલભાબેને 5 લાખ રૂપિયાનું સૈનિકો માટે કર્યુ દાન
ચારપાંચ દિવસ પહેલા તેઓ રાત્રે સૂતા હતા ત્યારે, તેમને વિચાર આવ્યો કે આપણે તો સારી રીતે નીંદર કરી શકીએ છીએ. સુરક્ષિત રહી શકીએ છીએ. આ સુરક્ષા માટે દેશના સૈનિકોની રાતદિનની મહેનત અને પરિશ્રમ છે. કાતિલ હાડ થિજાવતી ઠંડી વચ્ચે પણ તેઓ ડગ્યા વિના મા ભોમની રક્ષા કરી રહ્યા છે. આપણે આરામથી શાંતિ સલામતી સાથે રહી શકીએ છીએ તેની પાછળ આ સૈનિકોનું જ યોગદાન છે. આવા વિચારે સુલભાબેનને સૈનિકોના કલ્યાણ માટે આર્થિક દાન કરવાનો સ્તુત્ય વિચાર આવ્યો અને બીજા દિવસે પરિચિતોમાં પૃચ્છા કરી કે સૈનિકો માટે ક્યાં દાન આપી શકાય છે. કોઇએ તેમને કલેક્ટર કચેરીમાં જવા માટે સૂચન કર્યું હતું. સુલભાબેને કલેક્ટર કચેરીમાંથી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડને અનુદાન આપવાની સલાહ આપતા તેણીએ તે સ્વીકારી લીધી. તેઓ પોતે અપરિણીત હોવાથી સૈનિકોને પોતાના માનસપુત્રો ગણી આ દાન આપવાનું નક્કી કર્યું હતું.
તેઓ આજે સવારે રૂ. પાંચ લાખનો ચેક લઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને કલેક્ટર અતુલ ગોરને ચેક અર્પણ કર્યો હતો. કલેક્ટર ગોરે સુલભાબેનની સૈનિકો પ્રત્યેની સેવાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશની સરહદોનું રખોપું કરતા સૈનિકોના કલ્યાણ માટે સુલભાબેન દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદના અન્ય કર્મયોગીઓ માટે પણ પ્રેરણારૂપ છે. આ વેળાએ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી સુરજિતસિંઘ રાઘવ, વેલ્ફેર અધિકારી મનુભાઇ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.