વડોદરા પોલીસના આ કાર્યને તમે પણ કરશો સલામ, હંમેશા ફરજ પર રહેતા ચહેરા પાછળના ઋજુ હૃદયના થયા દર્શન
Vadodara: ખાખીના કઠોળ ચહેરા પાછળ છુપાયેલ ઋજુ હૃદયના આ દર્શન હતા. વારસિયા પોલીસ સ્ટેશનના પી આઈ કિરીટસિંહ લાઠીયાને વિચાર આવ્યો અને પછી પોલીસ સ્ટાફે વૃદ્ધાશ્રમમાં જે રીતે દિવાળી ઉજવી, તે સમગ્ર ઘટના હૃદયસ્પર્શી છે.
વડોદરા શહેરના પોલીસનું હૃદયસ્પર્શી કાર્ય સામે આવ્યું છે. વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક વૃદ્ધાશ્રમમાં પોલીસે 35 જેટલા વૃધ્ધો સાથે પરિવારજનની માફક દોઢ કલાક જેટલો સમય વિતાવ્યો. આ સમયમાં માતા-પિતા સમાન વૃદ્ધોને હૂંફ પુરી પાડવા સાથે દિવાળી જેવો માહોલ સર્જી ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચી હતી. વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર ચમક લાવી દઈ દિવાળી પૂર્વે જ દિવાળી ઉજવી નાંખી.
વડોદરા શહેરના જી ડિવિઝન ACP પરાક્રમ સિંહ રાઠોડ અને વારસિયા પોલીસ સ્ટેશનના પી આઈ કે એન લાઠીયા અને તેઓના સ્ટાફે ગુરુવારે દિવાળી પૂર્વે જ દિવાળીની ઉજવણી કરી નાંખી. બંદોબસ્ત અને લોકોની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ કોઈ તહેવારો નથી ઉજવી શકતી. પરંતુ ગુરુવારે વારસિયાની પોલીસ અને તેઓના અધિકારીઓએ ધામધૂમ ફટાકડા ફોડી, ફુલઝડી સળગાવી, ગીતો ગાઈ અને મીઠાઈ ખાઈ-ખવડાવી દિવાળીની ઉજવણી કરી નાંખી.
તસવીરોમાં દેખાતા દ્રશ્યો જોઈને મનમાં વિચાર આવશે કે આ તો કેવા પોલીસ વાળા જેઓ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી રહ્યા છે અને ગોતો ગાઈ રહ્યા છે. પરંતુ પરિવાર થી દુર વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારી રહેલા વડીલોના ચહેરા પર ખુશી લાવવાનો વડોદરા પોલીસનો આ આવકારદાયક પ્રયાસ હતો. ખાખીના કઠોળ ચહેરા પાછળ છુપાયેલ ઋજુ હૃદયના આ દર્શન હતા. વારસિયા પોલીસ સ્ટેશનના પી આઈ કિરીટસિંહ લાઠીયાને વિચાર આવ્યો કે તેમના જ વિસ્તારમાંમાં આવેલ સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાંના વૃધ્ધોના હાલચાલ પૂછીએ. અમુક સમય તેઓ સાથે કાઢીએ. પી આઈ લાઠીયા અને ACP પરાક્રમ સિંહ રાઠોડ ખાલી હાથે વૃદ્ધાશ્રમમાં ના ગયા. પોતાના સ્ટાફ સાથેની ગાડીઓમાં ફટાકડા અને મીઠાઈઓ પણ લઇ ગયા. અને ઉજવી નાંખી દિવાળી પહેલાની દિવાળી.
આ સાથે જ અનાજની કીટ પણ પોલીસે આશ્રમમાં આપી. સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમમાં રહેતા પાંત્રીસેક જેટલા વૃધ્ધો પૈકી કેટલાકને ઇચ્છા થઈ કે આ પોલીસ વાળા તેઓને ગીતો પણ સંભળાવે અને ACP પરાક્રમસિંહ રાઠોડે વૃધ્ધોની આ ઈચ્છા પણ પુરી કરી નાંખી. ગીત સંગીત ભજનની સુરવાલીઓ સાથે વૃદ્ધાશ્રમના માહોલમાં અનેરી રોનક સર્જાઈ, જાણે કે પાનખરમાં વસંત ઋતુ ખીલી હોય તેવું વાતાવરણ સર્જાયું.
બન્ને અધિકારીઓ અને તેઓના સ્ટાફે અલગ અલગ વૃધ્ધો સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા અન્ય કોઈ જરૂરિયાત હોય તો તે અંગે પણ પૃચ્છા કરી. એક વૃધે કહ્યું કે જો તેઓને સરકાર દ્વારા આપવામાં આવતું મા અમૃતમ કાર્ડ મળી રહે તો સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી મેળવી શકે. પી આઈ કિરીટસિંહ લાઠીયાએ મા અમૃતમ કાર્ડ ઉપરાંત સિનિયર સિટિઝનને મળવાપાત્ર તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આ વૃધ્ધોને આશ્વાસન આપ્યું.
દારૂની બદી અને દારૂના બુટલેગરોની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા માટે મુખ્યત્વે વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટેવાયેલો હોય છે. આજે કંઈક જુદી કામગીરી કરીને આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ કદાચ અત્યાર સુધીની નોકરીનો સૌથી મોટો સંતોષ આ વૃધ્ધોના ચહેરા પર સ્મિત જોઈને થયો હશે. એ વૃધ્ધોના સ્મિત પાછળ મૌન સ્વરૂપે છુપાયેલ આશીર્વાદ અને દુઆઓ આ પીલીસ કર્મીઓનું ભવિષ્ય તારી દેશે. મુખે બોલેલ શુભેચ્છાઓ કરતા મૌન દુઆઓમાં અનેકગણી શક્તિઓ હોય છે. અને વારસિયા પોલીસ તો આ બંને મેળવી ગઈ.
પોતાની ફરજની જગ્યાઓ પર હંમેશા કૈક નવું કૈક નોખું કરવા ટેવાયેલા IPS શમશેરસિંઘ વડોદરામાં પોલીસ કમિશ્નર તરીકે આવ્યા પછી પોતાની કાર્યપદ્ધતિમાં થોડો બદલાવ લાવ્યા છે. પોતે તો બદલાઈને નવું કરીજ રહ્યા છે પરંતુ પોતાના તાંબાના અધિકારીઓને પણ કંઈક નવું કૈક નોખું કરવા પ્રેરી રહ્યા છે તેનો આ શ્રેષ્ઠ દાખલો છે.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ઉથલપાથલના ભણકારા! રાહુલ ગાંધીની આજે મહત્વની બેઠક