આવકવેરા વિભાગે (IT Raid)બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર(Bankers Hospital)ના નિવાસસ્થાને દરોડા પાડતા 5 કરોડ કરતાં વઘુની રોકડ મળી આવી હતી. આ કેસમાં હવે હોસ્પિટલના( PRO) તથા એકાઉન્ટન્ટની પણ તપાસ કરવામાં આવશે. ગત રોજ વડોદરા અને સુરતમાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડાવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ્સે કોરોનાના કપરા કાળમાં 300કરોડની કમાણી કરી હોવાની વિગતો સામે આવી છે. આ કમાણીમાંથી 45 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું અને વડોદરામાં કરોડોની મિલકતો ખરીદી હોવાની વિગતો બહાર આવી હતી. સાથે જ સહજાનંદ ગ્રુપના 10 સ્થળોએ પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. તો વડોદરા જિલ્લાના પાદરા માં આવેલ બેંકર્સ હાર્ટના ટ્રેનિંગ સેન્ટર તથા સુરત અને અમદાવાદના ગોતામાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે
આઇટી વિભાગે કુલ 35 સ્થળો પર પાડેલા દરોડમાં 200થી વધુ અધિકારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે જોડાયા હતા. વડોદરામાં બેન્કર્સ હોસ્પિટલ ગ્રૂપની જૂના પાદરા રોડ તેમજ 2 હોસ્પિટલ્સ તેમજ વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં આવેલી ડૉ.દર્શન બેન્કર અને ડૉ.પારૂલ બેન્કરના નિવાસસ્થાને અને સુરતમાં આવેલી 1 હોસ્પિટલ તેમજ , ઓફિસ અને ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગની કાર્યવાહીમાં 10 જેટલા બેન્કર લોકર સીલ કરવામાં આવ્યા છે.. લોકર્સમાં કાળું નાણું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી.
કોરોના કાળમાં હોસ્પિટલના સંચાલકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. રેડ દરમિયાન મોટી માત્રામાં કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વડોદરા અને સુરતમાંથી પાંચ કરોડ જેટલી બિનહિસાબી રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ હોસ્પિટલના હિસાબી ચોપડા કબજે કરીને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી કે કેવી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. ઉપરાંત પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક અને અન્ય ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગને મની લોન્ડરિંગ થયાનું પણ જાણવા મળ્યું છે. વડોદરાના સહજાનંદ ગ્રુપના દસ્તાવેજોની ચકાસણી બાદ આ દરોડાની કામગીરી કરવામાં આવી છે દરોડાની કામગીરીમાં હવે વડોદરા, સુરત ઉપરાંત બેંગલુરુ અને મુંબઈમાં પણ બેન્કર્સની સંપત્તિ હોવા અંગેની તપાસ કરવામાં આવશે.
Published On - 9:10 am, Thu, 9 June 22