મહેનતની મોસમ : વડોદરા જિલ્લામાં 17 ટકા જમીનમાં વાવણી થઇ
વડોદરા (Vadodara) જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિક્ષેત્રમાં હવે મહેનતની મોસમ આવી છે. જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કુલ વાવેતર વિસ્તારના 17 ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઇ ચૂકી છે.
વડોદરા (Vadodara) જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. અને, ખેડૂતોએ (Farmers) વાવણીની (Sowing) શરૂઆત કરી દીધી છે. જેમાં જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર 245978 સામે અત્યાર સુધીમાં 42627 હેક્ટર જમીનમાં વાવણી થઇ છે.
વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિક્ષેત્રમાં હવે મહેનતની મોસમ આવી છે. જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કુલ વાવેતર વિસ્તારના 17 ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઇ ચૂકી છે. હજું પણ વાવણી કાર્ય ચાલી રહ્યું છે. સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો મેઘરાજાની આશીર્વાદ સાથે જમીનમાં વાવણિયા ચલાવી રહ્યા છે.
વાવણી કરવા માટે પણ ખેડૂતો એક શીરસ્તાનું પાલન કરે છે. યોગ્ય વરસાદ વરસ્યા બાદ ખેડૂતો સર્વ પ્રથમ પોતાના બળદને તેલ પીવડાવી તાજામાજા કરે છે. સાથે તેને ગોળ પણ ખવડાવવામાં આવે છે. બાદ બળદને પણ તિલક કરી ગાડું જોડવામાં આવે છે. વાવણી પૂર્વે અક્ષય તૃતીયાએ પણ જમીનનું પૂજન કરવાનું મહાત્મ્ય છે. જો કે, દેશકાળે વિધિ પરંપરા પણ બદલાઇ છે.
વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓને ધ્યાને રાખતા કુલ વાવેતર વિસ્તાર 245978 સામે અત્યાર સુધીમાં 42627 હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે. તાલુકા પ્રમાણે જોઇએ તો કરણજણમાં સૌથી વધારે 29102, ડભોઇમાં 7588, ડેસરમાં 110, પાદરામાં 2008, સાવલીમાં 396, શિનોરમાં 581, વડોદરા તાલુકામાં 2544 અને વાઘોડિયા તાલુકામાં 298 હેક્ટર જમીનમાં ખરીફ પાકની વાવણી થઇ છે.
પાક પ્રમાણે જોઇએ તો ડાંગરની 61, તુવેરની 2407, સોયાબીનની 540, કપાસની 36325, ગુવારની 11, શાકભાજીની 1469 અને ઘાસચારાની 1418 હેક્ટર જમીનમાં વાવણી થઇ છે.
રાજયમાં હજુ વરસાદી મહેરની ખેડૂતો જોઇ રહ્યાં છે રાહ
નોંધનીય છેકે રાજયમાં આ વરસે હજુ છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અને, મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદ પડયો નથી. ત્યારે રાજયમાં હજું જોઇએ તેવી વાવણીની શરૂઆત થઇ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે સારી શરૂઆત કરી છે. જેથી અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ સહિતના જિલ્લામાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. અને, અહીં ખેડૂતોએ સારી વાવણી કરી છે. પરંતુ, જો વરસાદ ખેંચાશે તો આ વાવણીને મોટું નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.