Vadodara: કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વડોદરાના 17 બાળકોને એસ. જયશંકરની હાજરીમાં રૂ. 1.70 કરોડ અર્પણ
આ યોજના અંતર્ગત દરેક બાળકને કેન્દ્ર સરકાર દ્રારા પીએમ કેર્સ યોજનામાં પોસ્ટ એકાઉન્ટમાં બાળક 23 વર્ષની ઉંમરે થતા દરેક બાળકને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે. તેમજ બાળકની ઉંમર 18 વર્ષથી 23 વર્ષ થાય ત્યાં સુધી આ રકમની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન (children) યોજના હેઠળ પ્રત્યેક બાળકને રૂ. 10 લાખની આર્થિક સહાય સહિતના લાભો અર્પણ કર્યા. તેની સાથે વડોદરા (Vadodara) માં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 17 બાળકોને રૂ. 1.70 કરોડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. દિલ્લી ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વિદેશ મંત્રી વડોદરાથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બન્યા હતા. આ યોજના અંતર્ગત દરેક બાળકને કેન્દ્ર સરકાર દ્રારા પીએમ કેર્સ યોજનામાં પોસ્ટ એકાઉન્ટમાં બાળક 23 વર્ષની ઉંમરે થતા દરેક બાળકને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે. તેમજ બાળકની ઉંમર 18 વર્ષથી 23 વર્ષ થાય ત્યાં સુધી આ રકમની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે.
આ યોજના અંતર્ગત દરેક બાળકના પોસ્ટ ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા ડી.બી.ટી થી રકમ જમા કરવામાં આવી છે. તેમજ દરેક બાળકોની કીટમાં બાળકની પોસ્ટ ઓફીસની પાસબુક, વડાપ્રધાનનો બાળકો માટેનો પત્ર ,બાળકોના પી.એમ.જે હેલ્થ કાર્ડ (આયુષમાન કાર્ડ), પી.એમ.કેર્સનું પ્રમાણપત્ર, સ્નેહ પત્ર આપવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના ૧૭ બાળકોને વિદેશમંત્રી શ્રી ડૉ. એસ જયશંકરના વરદહસ્તે પ્રમાણપત્ર સહિતની કીટ એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત દરેક બાળકને કેન્દ્રની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક 4,000/- તથા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાના 4,000/- અને રાજય સરકારની પાલક માતા-પિતા યોજના અંતર્ગત 3,000/- માસિક સહાય મંજુર કરવામાં આવી છે. તેમજ ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરતા બાળકોને તેમના બેંક ખાતામાં રૂ. 20 હજાર શિષ્યવૃતિ આપવામાં આવી છે. તથા મોટાભાગના બાળકોને રાજય સરકારના વિવિધ વિભાગોની પ્રી-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોરોનાના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે સરકાર ઉભી છે”. તેમણે વધુમાં કહ્યું કે, “કોરોનાના કારણે જેમણે સ્વજનો ગુમાવ્યા છે, તેમના જીવનમાં થયેલો ફેરફાર કેટલો મુશ્કેલ છે તે હું જાણું છું. દરરોજ સંઘર્ષ અને દરરોજ તપસ્યા”. પ્રધાનમંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે, “આજે જે બાળકો આપણી સાથે છે, તેમની તકલીફોને શબ્દોમાં કહેવી મુશ્કેલ છે”
વડાપ્રધાને જણાવ્યું કે, ”પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ તમામ એવા કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનો પ્રયાસ છે, જેમના માતા અને પિતા બંને હયાત નથી. આ યોજના એ વાતનું પણ પ્રતિબિંબ છે કે, દરેક દેશવાસી સંપૂર્ણ સંવેદનશીલતાથી બાળકો સાથે છે”. તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને સંતોષ છે કે બાળકોના સારા ભણતર માટે તેમના ઘર પાસે જ સરકારી કે ખાનગી શાળાઓમાં તેમનો પ્રવેશ થઈ ચૂક્યો છે. પરંતુ જો કોઇ બાળકને પ્રોફેશનલ કોર્સ માટે હાયર એજ્યુકેશન માટે એજ્યુકેશન લોનની જરૂર પડશે, તો પીએમ કેર્સ તેમાં પણ મદદ કરશે”
પીએમ મોદીએ બાળકોને ફીટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાન જોડાવા માટે આહ્વાન કર્યું અને બાળકોને ખૂબ આગળ વધવાના આશીર્વાદ પણ આપ્યા. વડોદરા જિલ્લાના લાભાર્થી બાળકોને પ્રમાણપત્ર સહિત યોજના સંબંધિત કીટ આપીને વિદેશમંત્રી શ્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે, “કોરોનાના કારણે આ બાળકોને દુર્ભાગ્યથી માતા-પિતા ગુમાવ્યા છે, પરંતુ અમે તેમની સાથે છીએ”.તેમણે બાળકોને આશીર્વાદ આપતા કહ્યું કે, “આત્મવિશ્વાસથી ખૂબ આગળ વધો અને સફળતાના શિખરો સર કરો” આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપવા દેશના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો જીતુભાઈ સુખડીયા, સીમાબેન મોહિલે, યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા, અક્ષયભાઈ પટેલ હાજર રહ્યા હતા.