Tapi : મતદાન એ જ મહાદાન, તાપી જિલ્લામાં મતદાર સાક્ષરતા ક્લબ માટે વર્કશોપ યોજાયો
લોકોમાં જાગૃતિ આવે તે માટે મતદાન (Voting ) માટે નિબંધ સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક નાગરિકને તેની સાથે જોડવામાં આવશે.
જિલ્લા (District ) કક્ષાના મતદાર સાક્ષરતા ક્લબ્સ માટે વર્કશોપનું (Workshop )આયોજન તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયા ના અધ્યક્ષ સ્થાને આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા (Vyara ) ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેક નાગરિકને મતદાન નો અધિકાર મળ્યો છે.
તેનો ઉપયોગ લોકોએ અચૂકથી પોતાની ફરજ સમજીને કરવો જોઈએ અને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ. મતદાન એ નવા મતદારો માટે આ એક ઉત્સાહનો વિષય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં યુવાનોથી લઇ વૃધ્ધો અને દિવ્યાંગો સહિત દરેક નાગરિક યોગ્ય રીતે મતદાન કરી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ આયોજન જિલ્લા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે.
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારોમાં જાગૃતિ લાવવા માટે તાપી જિલ્લા કલેકટર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ચૂંટણી પૂર્વે મતદારોમાં મતદાન કરવા માટે જાગૃતિ આવે અને દરેક નાગરિક તેમનો મતાધિકાર ભોગવે તે માટે વિવિધ પ્રકારે મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. આ માટે નિબંધ સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક નાગરિકને તેની સાથે જોડવામાં આવશે.
આ ઉપરાંત તેમણે જિલ્લામાં બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની પ્રક્રિયા મતદાન માટે શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. જેમાં ખાસ કરીને ઘર આંગણે મતદાર યાદીને લગતા કામો પુરા કરવામાં આવવાના હોય આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવવા ખાસ અનુરોધ કર્યો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાગર મોવાલીયાએ આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને જણાવ્યું હતું કે, મતદાન એ મહાદાન છે.
તાપી જિલ્લામાં યુવા મતદારો આ વર્કશોપમાં થી મળેલ માહિતીને લોકો તેમના પરિવાર અને મિત્ર મંડળમાં અન્યને જાગૃત કરે તે જરૂરી છે. વ્યારા મામલતદાર દિપક સોનાવાલાએ વર્કશોપ સહિત મતદાનના મહત્વને સમજાવ્યું હતું.નોંધનીય છે કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી આવવાની હોય લોકોને મતાધિકારનો ઉપયોગ મહત્તમ કરવા માટે હવે જાગૃત કરવાના કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવનાર છે.