આજે વિશ્વ અંગદાન દિવસ: સુરત હવે ડોનર સીટી તરીકે નામના મેળવવાની દિશા તરફ
આ સંસ્થાના પ્રમુખ(President) નિલેશ માંડલેવાલા ના જણાવ્યા પ્રમાણે સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે.
આજે 13 ઓગસ્ટના દિવસને વિશ્વ અંગદાન(Organ ) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બ્રેન (Brain) ડેડ વ્યક્તિઓના અંગોનું દાન (Organ Donate) કરીને અન્યો લોકોને નવું જીવન મળે તે માટે જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં અંગદાન માટે જાગૃતિ લાવવાનું કામ કરવામાં સુરતની સંસ્થા ડોનેટ લાઈફે ઘણું મોટું યોગદાન પૂરું પાડ્યું છે. બ્રેઈન ડેડ થનાર વ્યક્તિઓના પરિવારજનોએ સમજણથી બીજા વ્યક્તિઓને નવજીવન આપવાનું જ્યારે નક્કી કરે છે, ત્યારે તેમના અંગદાન માટે સુરતની એનજીઓ ડોનેટ લાઈફ સંસ્થા કાર્યરત છે. એક માહિતી પ્રમાણે ગુજરાતમાં જેટલા પણ અંગદાન થયા છે, તેમાં અડધાથી ઉપર અંગદાન સુરત માંથી કરવામાં આવ્યા છે. એટલે કે અંગદાન કરવામાં પણ સુરતીઓ સૌથી વધુ અગ્રેસર છે અને એટલે જ તો સુરત સિટીને ડાયમંડ સીટી, ટેક્સ્ટાઈલ સીટી, બ્રિજ સીટી બાદ હવે ડોનર સીટી તરીકેનું પણ બિરુદ મળ્યું છે.
આ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાના જણાવ્યા પ્રમાણે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1,023 અંગ અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 430 કિડની, 183 લિવર, 8 પેન્ક્રીઆસ, 49 હૃદય, 26 ફેફસા, 4 હાથ અને 332 ચક્ષુઓના દાનથી કુલ 936 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. જે સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત બની છે. કારણ કે દિવસેને દિવસે લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ વધી રહી છે. નિલેશભાઈએ TV9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશનની આખી પ્રક્રિયા કેવી રીતે પાર પડે છે ?
કેવી રીતે થાય છે અંગદાન?
- –જ્યારે હોસ્પિટલમાંથી તેમની સંસ્થાને દર્દીનો બ્રેઈન ડેડ અંગેનો કોલ આપવામાં આવે છે, ત્યારે તેઓની ટીમ હોસ્પિટલ પહોંચી જતી હોય છે. જ્યાં પહેલા તો દર્દીના પરિવારજનોને બ્રેઈન ડેડ એટલે શું તે અંગે સમજણ આપવામાં આવે છે અને તેઓને અંગદાન માટે કન્વીન્સ કરવામાં આવે છે કે, જો કમનસીબે દર્દીનું મોત નીપજે અને બાદમાં તેને અગ્નિદાહ આપવામાં આવે તો તે શરીર અંતે તો રાખ જ બની જવાનું છે, પરંતુ જો તેના અંગો ડોનેટ કરાવામાં આવે તો બીજા કેટલાયને નવજીવન આપી શકાય.
- –જો બ્રેઇન ડેડના પરિવારજનો હૃદય ડોનેટ કરવા માટે તૈયાર થાય તો તાત્કાલિક ધોરણે મુંબઈ ખાતે આ અંગે જાણ કરવામાં આવે છે અને જો જરૂર લાગે તો મુંબઈથી ડોકટરની ટીમ સુરત આવી પહોંચે છે. મહત્વની વાત એ છે કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે સમય ખુબ જ ઓછો હોય છે. દર્દીનો બ્લડ સપ્લાય બંધ થવાથી લઈને સામે વાળા દર્દીનું બ્લડ ચાલુ થાય તે માટે ફકત 4 કલાક જેટલો ઓછો સમય જ હોય છે. આ સમયમાં દર્દીના ઓપરેશનથી લઈને અંગ લઈ જવા માટે ટ્રાવેલિંગનો સમાવેશ થઈ જતો હોય છે.
- –સામાન્ય રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે અંદાજે રૂપિયા 20 લાખનો ખર્ચ થતો હોય છે અને જો સમયસર જો હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નહીં આવે તો તે બિનઉપયોગી બની જતું હોય છે. બ્રેન ડેડ વ્યક્તિના ઓર્ગન સમયસર હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચે તે માટે પોલિસ દ્વારા પણ ખાસ ગ્રીન કોરીડોરની સેવા ઉપલબ્ધ કરાય છે. જેમાં એમ્બ્યુલન્સ નીકળવાની હોય તે પહેલા એરપોર્ટ સુધીનો રસ્તા પર અંદાજિત 100થી વધુ ટ્રાફિક જવાનો ટ્રાફિક વ્યવસ્થા માટે ગોઠવી દેવામાં આવે છે અને રસ્તો એમ્બ્યુલન્સ માટે ખુલ્લો કરી દેવામાં આવે છે કે જેને લઈને ટીમના સમયનો બચાવ થાય.
- –આટલો મસમોટો ખર્ચો એક સામાન્ય વ્યકિત કે ગરીબ વ્યકિતને પોસાઈ શકે નહીં. જો કે, કળીયુગમાં માનવતા મરી પરવારી હોય તે કહેવતને અહીં ખોટી સાબિત કરી છે કારણ કે મુંબઇની વિવિધ એનજીઓ દ્વારા આવા દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેનો સંપૂર્ણ ખર્ચ ચુકવવામાં આવે છે કે, જેથી કોઈ વ્યક્તિને નવી જિંદગી મળી શકે.