Surat : સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન થવા હવે કોર્પોરેશન રહેણાંક સોસાયટીઓને પણ સાથે જોડશે
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાનો બીજો નંબર છે , જોકે હવે કોર્પોરેશનનો પહેલો નંબર આવે તે માટે રહેણાંક સોસાયટીઓને જોડવા માટે સૂચના આપવામાં આવી છે.
સુરત (Surat) માં કોરોનાના કેસ ઘટવાની સાથે હવે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) એ સ્વચ્છતા સર્વેક્ષણ (sanitation survey) ની કામગીરી વધુ આક્રમક બનાવી છે. સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગની કમિટીએ હવે સ્વચ્છતા સર્વેક્ષણમાં રહેણાંક (residential) સોસાયટીના લોકોને જોડવાનો નિર્ણય કર્યો છે.
જે માટે કોર્પોરેશનની આરોગ્ય કમિટી દ્વારા વરાછા ઝોનમાં બેઠક કરવા સાથે હવે આગામી દિવસમાં તમામ ઝોનમાં બેઠક કરવા માટે આયોજન કર્યું છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કમિટીએ વરાછા એ અને બી ઝોનની એક બેઠક કરી હતી. જેમાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓને આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાનો બીજો નંબર છે , જોકે હવે કોર્પોરેશનનો પહેલો નંબર આવે તે માટે રહેણાંક સોસાયટીઓને જોડવા માટે સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય સમિતિના અધ્યક્ષ દર્શિની કોઠીયાએ જણાવ્યું કે , સુરતમાં સ્વચ્છતાની કામગીરી ઘણી સારી થઈ રહી છે પરંતુ હજીપણ કેટલીક ત્રુટીઓ છે , તેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે હાલમાં શહેરના તમામ વિસ્તારોમાં વોલ પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વોલ પેઈન્ટિંગના કારણે લોકોમાં જાગૃતિ આવે તે પણ ઘણી જરૂરી છે. હાલમાં અનેક જગ્યાએ વોલ પેઈન્ટિંગ કરી રહ્યું છે પરંતુ કેટલાક લોકો તેના પર પાનની પિચકારી મારીને ગંદકી ફેલાવી રહ્યા છે.
શહેરમાં હાલમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને પાનની પિચકારી મારીને ગંદકી કરનારા લોકો સામે આકરો દંડ કરવા માટે પણ વિચારણા થઈ રહી છે. સાથે સાથે સ્વચ્છતાની કામગીરીમાં રહેણાંક સોસાયટીના પ્રમુખોને જોડવામાં આવશે. સોસાયટીના પ્રમુખ પાસે પણ સ્વચ્છતા અંગે અભિપ્રાય માંગવામાં આવ્યા છે.
દરેક ઝોનમાં આરોગ્ય સમિતિ દ્વારા બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં લોકોને પણ સીધા જોડવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આશીર્વાદ સોસાયટીના પ્રમુખ નરેશ પટેલના જણાવ્યા પ્રમાણે અમે આ પ્રયાસને આવકારીએ છીએ. શહેરની સ્વચ્છતાની જવાબદારી ફક્ત કોર્પોરેશનની નહિ પણ દરેક નાગરિકની જ છે. સ્વચ્છ આંગણું રાખીશું, તો સ્વચ્છ સોસાયટી, સ્વચ્છ મહોલ્લો અને સ્વચ્છ શહેર બનશે. અમે શહેરને સ્વચ્છતામાં નંબર વન પર લઈ જવા તમામ પ્રયત્નો કરીશુ.
આ પણ વાંચો: Ahmedabad: ક્ષત્રિય મહિલાઓએ ફાગ ઉત્સવની ઉજવણી કરી, રાજસ્થાની પરંપરાના રંગ જોવા મળ્યા
આ પણ વાંચોઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 9 દિવસ માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ, જાણો શું છે કારણ