Surat : સુરતીઓને થઈ મોટી રાહત, વર્ષોથી બંધ અઠવાગેટ અને નાનપુરાને જોડતા રસ્તા પરનો અવરોધ દૂર કરાયો
છેલ્લા ઘણા સમયથી અઠવાગેટ અને નાનપુરા વચ્ચે બેરીકેટ મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકોને એકથી દોઢ કિમી જેટલો લાંબો ફેરો પડતો હતો.
સુરતના (Surat) લોકોને હાલ મોટી રાહત થઈ છે અને એ રાહત એ છે કે આજથી સુરતના અઠવા ગેટ (Athwa Gate) અને નાનપુરા (Nanapura) વિસ્તારને જોડતા રસ્તા પરના અવરોધને દૂર કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી અઠવા ગેટ અને નાનપુરા વચ્ચે બેરીકેટ મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકોને એકથી દોઢ કિમી જેટલો લાંબો ફેરો પડતો હતો.
લાંબા સમયથી નાનપુરા, અઠવાગેટ દલીચંદ નગર વિસ્તારના લોકો આ બાબતે રજૂઆતો કરતા આવ્યા હતા. સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ અને અશોક રાંદેરીયાએ પણ આ બાબતની રજુઆત પોલીસ કમિશનર અને ટ્રાફિક પોલીસ સુધી પણ પહોંચાડી હતી.
કોઈ પણ જાતના આયોજન વગર જ નાનપુરા, અઠવાગેટનું આ સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેને બંધ કરીને ત્યાં આડશ મૂકી દેવામાં આવી હતી. જેના કારણે અહીંના લોકોને 1 થી દોઢ કિમીનો ચકરાવો ફરવો પડતો હતો. નજીકમાં જવા માટે લોકો રોંગ સાઈડનો રસ્તો પકડે તો સીસીટીવી અથવા ટ્રાફિક પોલીસ દ્વારા મસમોટો દંડ પણ ફટકારવામાં આવતો હતો. લોકોની રજૂઆતને TV9 એ પણ વાચા આપી હતી.
એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ સાતમા આસમાને છે, ત્યાં બીજી તરફ આ બેરીકેટને કારણે લોકોના સમય અને ઇંધણ બંનેનો બગાડ થતો હતો. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે આ રસ્તો ખોલી દેવામાં આવતા શહેરીજનોને મોટો હાશકારો થયો છે. બીજી બાજુ નાનપુરા અને મજુરાગેટ પર મુકવામાં આવેલ બેરીકેટ પણ હટાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.