સુરતના (Surat ) શહેરીજનો માટે મહાનગર પાલિકા(SMC) દ્વારા સંચાલિત સિટી બસ (Bus )અને બીઆરટીએસ બસની સેવા ખાડી પુર અને જહાંગીરપુરા ખાતે આવેલ સરોલી બ્રિજમાં ભંગાણ પડતાં પ્રભાવિત થવા પામી છે. આ સ્થિતિને પગલે સુરત મનપા દ્વારા આજે પણ હંગામી ધોરણે પાંચ અલગ – અલગ બીઆરટીએસ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવતાં મુસાફરોને આંશિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોર્પોરેશનના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મગોબ – પરવટ ખાડી બ્રિજ પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાવાને પગલે રૂટ નંબર 15, 16 અને 21ને પરવત પાટીયાથી વાયા મોડલ ટાઉન – ડુંભાલથી સંજય નગર – દેવધ ગામથી દોડાવવામાં આવી રહી છે. આ સિવાય 204 નંબરના રૂટ રઘુકુળ ગરનાળામાં પાણી ભરાવાને કારણે કિન્નરી સિનેમાથી વાયા ભાઠેના કેનાલથી દોડાવવામાં આવી રહી છે.
આ રીતે જ જહાંગીરપુરા ખાતે આવેલ સરોલી બ્રિજનો એક તરફનો હિસ્સો ભારે વરસાદને કારણે ઘસી પડતાં જહાંગીરપુરા સુધી દોડાવવામાં આવતી બસ સેવા પણ પ્રભાવિત થવા પામી છે. જો કે, ખાડી પુરના પાણી ઓસર્યા બાદ અને સરોલી બ્રિજના મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ બસ સેવાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે સુરતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદે શહેર આખાને ઘમરોળી લીધું હતું. ખાસ કરીને ખાડી કાંઠાના વિસ્તારો જેમાં લીંબાયત, પુણાગામ, સારોલી, કુંભારીયા વગેરે વિશેષ પ્રભાવિત થયા હતા. જયારે જિલ્લામાં બારડોલી, પલસાણા, માંડવી તાલુકામાં વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.
ભારે વરસાદને કારણે તંત્રને પણ ખાસ્સી મહેનત કરવી પડી હતી. કારણ કે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં હજી પણ સ્થિતિ સુધરી શકી નથી. જેથી અહીં બસસેવા ખોરવાઈ જતા નોકરીયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે આજે વરસાદનું જોર થોડું ઓછું થતા ક્રમશઃ આ પાણી ઓછું થશે, અને જનજીવન ફરી થાળે પડશે તેવી સંભાવના દેખાઈ રહી છે.