Surat : યુક્રેન રિટર્ન ભારતીય વિધાર્થીઓ હવે સ્થાનિક સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ ઇચ્છે છે
યુક્રેનથી ભારત પાછા આવેલા લગભગ 1200 વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ એક સિગ્નેચર કેપેઈનની શરુઆત કરી છે.
આજથી લગભગ સીતેર દિવસ અગાઉ જ્યારે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા (Ukraine Russia War) બાદ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ (Indian students) ને ભારત પરત લાવવામાં આવ્યા ત્યારે ગુજરાત (Gujarat) માં એવો ટ્રેન્ડ હતો કે યુકેનથી પરત આવનારા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીથી લઇને મંત્રીઓ અને મહાનગરોના મેયર સહિતના પદાધિકારીઓ આવકારવા માટે સામે ચાલીને પહોંચ્યા હતા અને ફોટો સેશન કરાવ્યા હતા આ નેતાઓ હવે સમય આપતા ન હોવાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
પરંતુ, હવે યુક્રેનથી પરત ફરેલા ગુજરાત સહિતના વિદ્યાર્થીઓએ માગણી શરૂ કરી છે કે યુક્રેનમાં અભ્યાસ શરૂ થાય તેવી કોઇ શક્યતા ન હોઇ, સ્થાનિક સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ અપાવવામાં આવે. રાજ્યમાં ટુંક સમયમાં નીટની પરીક્ષા લેવાની છે અને તેનું પરિણામ આવતાં જ મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ત્યારે વાલીઓ ઇચ્છે છે કે યુક્રેનથી આવેલાં તેમનાં સંતાનોને પણ રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે જેથી તેમનું શિક્ષણ બગડે નહીં.
યુક્રેનના કીવ, ખારકીવ અને ઓસ્સા સહિતના શહેરોમાં ગુજરાતના લગભગ 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર મહાવીર પરમાર જણાવે છે કે, અમારી માંગણી છે કે યુદ્ધના કારણે જે વિદ્યાર્થીઓએ યુક્રેન છોડીને ભારત પાછા આવવુ પડ્યું છે, તેમને રાજયની સરકારી કોલેજોમાં પ્રવેશ મળવો જોઈએ. મહાવીર પરમારે આગળ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં પાછા ફર્યા તે અત્યારે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે કારણ કે હજી પણ યુદ્ધનો અંત નથી આવ્યો અને તેઓ પાછા નથી જઈ શકતા. પરંતુ મેડિકલ એક એવું ક્ષેત્ર છે જેમાં પ્રેક્ટિકલ સેશનમાં હાજર રહેવું અત્યંત જરૂરી છે. માટે અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ અમને અહીંની કોલેજમાં પ્રવેશ આપવામાં આવે.
યુક્રેનથી ભારત પાછા આવેલા લગભગ 1200 વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ એક સિગ્નેચર કેપેઈનની શરુઆત કરી છે. આ વિધાર્થીઓની માંગ છે કે તેમને રાજ્યની મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં આવે. આથી હવે જે નેતાઓ તેમને આવકારવા માટે એરપોર્ટ કે જે તે શહેરોમાં ભેગા થયા હતા. હવે તેઓ આ વિધાર્થીઓની માગણી પૂરી થઇ શકે તેમ ન હોઇ, આ નેતાઓ તેમની સામે આવવાનું પણ ટાળી રહ્યા છે.