સુરતના (Surat) પુણાગામ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં(School)અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડે આચાર્ય દ્વારા કરવામાં આવેલા જાતિય શોષણ(Explotation) મામલે પુણા ગામ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જેમાં સમિતિ દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ પુણાગામ પોલીસ મથકમાં વિદ્યાર્થીઓના જાતીય શોષણ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યાં પોલીસે ગુનો દાખલ કરતા જ આરોપી આચાર્ય ભૂગર્ભમાં ઉતરી જતા ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડે આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું જે વિવાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ આચાર્ય સામે કડક પગલાં અને કાર્યવાહી કરવા વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા હતા જ્યાં ભારે વિવાદના અંતે સમિતિના અધ્યક્ષ દ્વારા આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જોકે માત્ર સસ્પેન્ડ કરી સમિતિ દ્વારા સંતોષ માણી લેવાયો હતો જેના પગલે ભારે વિવાદ થતા સમિતિ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.
આખરે જે કમિટી દ્વારા પુણાગામ ખાતા આવેલી શાળામાં વિદ્યાર્થીઓ જોડે બનેલી જાતીય શોષણની ઘટના અંગે તપાસ અહેવાલ શાસકોને સુપ્રત કરવામાં આવ્યો હતો.જ્યાં અંતે તપાસ કમિટીએ પુણાગામ પોલીસ મથકમાં શાળાના આચાર્ય ની નીશાંત વ્યાસ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ફરિયાદ નોંધાતા જ આરોપી આચાર્ય ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. આરોપીના નિવાસ્થાને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ આરોપી ઘરે પણ મળી આવ્યો નહોતો. દરમિયાન ગતરોજ આચાર્ય નિશાંત વ્યાસની પુણાગામ પોલીસે ધરપકડ કરી હતી. પુણાગામ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.જ્યાં આરોપી આચાર્ય દ્વારા અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ જોડે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે તેની તપાસ પણ હાથ ધરી છે.
Published On - 6:03 pm, Sun, 31 July 22