Surat : સુવિધાના નામે મીંડું હોવા છતા, સુરત રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટના ભાવ 20થી વધારીને 50 કરાયા
કોરોનાના કારણે પ્લેટફોર્મ પર વધારે ભીડ ન થાય તે માટે સુરત રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ ટિકીટના ભાવ વધાર્યા. ઉધના, નવસારી, સચિન, બેસ્તાન અને મરોલી સ્ટેશને પ્લેટફોર્મ ટિકીટના 20થી 30 રૂપિયા રખાયા.
રેલ રાજ્ય મંત્રી બન્યા બાદ સુરતના સાંસદ દર્શના જરદોષ(Darshana jardosh ) પાસે સુરતીઓને અપેક્ષા હતી કે તેમનું વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનનું સપનું સાકાર થશે. પણ આ સપનું તો સાકાર ન થયું પરંતુ પ્લેટફોર્મ ટિકિટના(platform ticket ) ભાવ જરૂરથી વધારી દેવામાં આવ્યા છે.
કોરોના બાદથી લાંબા સમય સુધી સુરત રેલવે સ્ટેશન (surat railway station ) પર મુસાફરોને મુકવા આવતા સંબંધીઓ કે મિત્રોને પ્લેટફોર્મ ટીકીટ આપવામાં આવતી ન હતી. વારંવારની રજુઆત બાદ પ્લેટફોર્મ ટિકિટને મંજૂરી આપવામાં આવી. જોકે આ મંજૂરી મળતા જ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જે પશ્ચિમ રેલવેમાં સૌથી વધારે છે.
હવાલો એવો આપવામાં આવ્યો છે કે કોરોનાના કારણે પ્લેટફોર્મ પર વધારે ભીડ ન થાય અને ખરેખર જેને જરૂર હોય એ લોકો જ પેસેન્જરને પ્લેટફોર્મ પર મુકવા જાય એ માટે આ દર રાખવામાં આવ્યો છે.
NSC-1 કેટેગરીના સ્ટેશન મુજબ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયા, અને NSC-2 કેટેગરીના ઉધના 30, નવસારી 30, સચિન 20, ભેસ્તાન 20 અને મરોલી સ્ટેશનના 20 નક્કી કરવામાં આવ્યા છે.
જો કે આ ભાવને સુરત રેલવે સ્ટેશન સીટીઝન ડેવલપમેન્ટ ફોરમ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. તેઓએ વિરોધ કરતા જણાવ્યું છે કે પ્લેટફોર્મ ટિકિટના આ ભાવ સાંખી નહિ લેવાય. સુરતમાં રેલવે સ્ટેશન પર સુવિધાના નામે મીંડું છે. તેવામાં આ ભાવવધારો નહિ ચલાવાય. રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે સુરત સાથે અન્યાય કર્યો હોવાની વાત તેમણે કરી હતી.
સુરતના સોશિયલ મીડિયામાં આ બાબતે મેસેજોનો મારો શરૂ થઇ ગયો છે. દર્શના જરદોષે સુરતીઓને મોટી ભેંટ આપી હોવાનો કટાક્ષ કરીને પ્લેટફોર્મ ટિકીટના ભાવ વધારવાના નિર્ણયની નિંદા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અગાઉ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ ટિકિટના ભાવ 20 રૂપિયા હતા તે વધારીને સીધા 50 રૂપિયા કરી દેવાતા મુસાફરોમાં પણ આક્રોશ છે.