સુરતના (Surat ) કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપોર ખાતે કતારગામ ઝોનના (Katargam Zone ) અધિકારીઓ દ્વારા રસ્તા પર થતા લારી-ગલ્લાના દબાણોને (Encroachment ) કારણે 40 જેટલી દુકાનો ને સીલ કરી દેવામાં આવી હતી. જેના કારણે દુકાનદારો સ્થાનિક ધારાસભ્ય અને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાના કાર્યાલય પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે મંત્રી હાજર ન હોવાને કારણે દુકાનદારો રોષે ભરાયા હતા અને મંત્રી વિનુ મોરડિયાના કાર્યાલયની બહાર હાય હાય બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. રોજીરોટી છીનવાઇ જવાને કારણે એક યુવકે જાહેરમાં શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો હતો.
કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપોર વિસ્તારમાં દુકાનો આગળ લારીઓનું દબાણ વધવાના કારણે કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા રસ્તા પરની 40 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. દુકાનો સીલ કરી દેવામાં આવતા દુકાનદાર રોષે ભરાયા હતા. જેથી આજે બપોરે આ તમામ દુકાનદારો અને મહિલાઓ કતારગામ ઝોનના અધિકારીઓની હેરાનગતિ મામલે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય અને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયાના કાર્યાલય પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
પરંતુ મંત્રી વિનુ મોરડીયા હાજર ન હોવાને કારણે દુકાનદારો અકળાયા હતા. સ્થાનિક દુકાનદારોએ વિનુ મોરડીયાના કાર્યાલયની બહાર જ હાય હાય બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રોજીરોટી છીનવાઇ જવાને કારણે એક યુવકે જાહેરમાં શર્ટ કાઢીને કતારગામ ઝોનના અધિકારીઓ વિરુદ્ધ દેખાવો કરવાની સાથે મંત્રીની હાય હાય બોલાવી હતી. આ મુદ્દે દુકાનદારો એ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા સીલ ખોલવામાં નહીં આવે તો તેઓ જાતે સીલ ખોલી દેશે. ત્યારબાદ તમામ દુકાનદારો સિંગણપોર ચાર રસ્તા ખાતે ધરણા પર બેસી જતા ટ્રાફિક જામ થઇ જવા પામ્યું હતું.
દુકાનદારો જ પ્રોત્સાહન આપતા હોવાના કારણે સખ્ત કાર્યવાહી કરાઈ
આ મામલે કતારગામ ઝોનના અધિકારીએ જણાવ્યું હતું કે સિંગણપોર ચાર રસ્તા પર દરરોજ લારીઓ અને પાથરણાં વાળાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. કતારગામ ઝોન દ્વારા દરરોજ આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ પણ દરરોજ આજ પરિસ્થિતિ જોવા મળે છે. જેમાં આ રસ્તા પરના દુકાનદારો જ તેમને પ્રોત્સાહન આપતા હોવાથી 40 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સિંગણપોર ચાર રસ્તા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવવામાં આવેલ લેસ માર્કેટ પણ સીલ કરી દેવામાં આવ્યું છે. લેસ ખરીદવા આવતા લોકો રસ્તા પર વાહનો પાર્ક કરતા હોવાથી માર્કેટ સીલ કરાયું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં કોમી એકતા જળવાઇ રહે તે માટે પોલીસે સર્વ ધર્મના આગેવાનોની બેઠક બોલાવી