Surat: પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોમાં આક્રોશ, લિંબાયતના કમરૂનગર શાક માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરાયા

સુરતના લિંબાયતના સ્થાનિક લોકોનું કહેવું છે કે કમરૂ નગર વિસ્તારમાં આ પહેલા અહીં શાકમાર્કેટ ચાલતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોએ તેને કબજો કરીને ઘોડાનો તબેલો બનાવી દીધું છે. બીજી તરફ શાકમાર્કેટ હવે વાપરવા યોગ્ય પણ નહીં રહેતા રસ્તા પર દબાણની સ્થિતિ પણ સર્જાવા પામે છે

Surat: પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોમાં આક્રોશ, લિંબાયતના કમરૂનગર શાક માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરાયા
Surat Limbayat Vegetable Market
| Edited By: | Updated on: May 26, 2022 | 4:51 PM

સ્વચ્છતા સર્વેક્ષણ માં સુરતને(Surat)  નંબર વન લઈ જવા માટે એક તરફ સુરત મહાનગરપાલિકા જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે ત્યાં બીજી તરફ કોર્પોરેશનના જ કેટલાક પ્રોજેક્ટ ગંદકીના ઢગ સમાન બની ગયા છે. આખા શહેરમાં સાફ સફાઈ કરીને શ હેરને ચોખ્ખું ચણાક કરીને સ્વચ્છતામાં નંબર વન મેળવવા માંગતી મહાનગરપાલિકા પોતાના જ તાબા હેઠળ આવતા પ્રોજેકટની જાળવણી કરવામાં ધરાર  નિષ્ફળ  સાબિત થઈ છે. સ્વચ્છતાના નામે આખા દેશમાં સુરત શહેર મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે બીજી તરફ લિંબાયતના(Limbayat) સ્લમ વિસ્તારોમાં પારાવાર ગંદકી દિવા તળે અંધારાની જેવી સ્થિતિ હોય તેમ જણાઈ રહ્યું છે. સુરત મહાનગર પાલિકા દ્વારા લિંબાયતના કમરૂનગર ખાતે બનાવવામાં આવેલ શાક માર્કેટ નધણિયાતી બની રહેતા તેમાં છેલ્લા ઘણા સમયથી પારાવાર ગંદકી( filth)  વચ્ચે હવે ચોક્કસ તત્વો દ્વારા આ શાક માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

શાક માર્કેટ છેલ્લા ઘણા સમયથી પારાવાર ગંદકીનો ગઢ

લિંબાયતના કમરૂ નગર ખાતે આવેલા ઈડબ્લ્યુએસ આવાસ પાસે મહાનગર પાલિકા દ્વારા સ્થાનિક નાગરિકોની સુવિધા માટે શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, આ શાક માર્કેટ છેલ્લા ઘણા સમયથી પારાવાર ગંદકીનો ગઢ સાબિત થઈ રહી છે. આ મુદ્દે છાશવારે લિંબાયત ઝોનમાં રજુઆત કરવા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. ઉલ્ટાનું હવે સ્થાનિકો દ્વારા જ આ માર્કેટમાં ઘોડાના તબેલા શરૂ કરી દેવામાં આવતાં લોકોમાં પણ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી જોવા મળી રહી છે.

ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થાય છે

અહીં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે કમરૂ નગર વિસ્તારમાં આ પહેલા અહીં શાકમાર્કેટ ચાલતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોએ તેને કબજો કરીને ઘોડાનો તબેલો બનાવી દીધું છે. બીજી તરફ શાકમાર્કેટ હવે વાપરવા યોગ્ય પણ નહીં રહેતા રસ્તા પર દબાણની સ્થિતિ પણ સર્જાવા પામે છે. જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થાય છે. તેવામાં લોકોની માંગણી છે કે શાકમાર્કેટમાં ઉભા થયેલા આ તબેલા ને દૂર કરીને તેની સફાઈ કરીને ફરી એકવાર તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે.

Published On - 4:36 pm, Thu, 26 May 22

Follow Us