Surat : શિક્ષણ અને આરોગ્યના નામે અરવિંદ કેજરીવાલ ગુજરાતને ગેરમાર્ગે દોરી રહ્યા છેઃ સીઆર પાટીલ
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતની સમૃદ્ધિને જો કોઈ ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરે તો તેને કોઈ કાળે સાંખી લેવામાં આવશે નહીં અને ગુજરાતના નાગરિકો આવા તત્વોને જવાબ આપવા માટે તત્પર છે.
સુરત (Surat) શહેરના મોરા ભાગળ ખાતે આવેલ સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (South Gujarat Medical Education and Research Center) દ્વારા આજરોજ વાત્સલ્ય નર્સિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે (CR Patil) આજે વધુ એક વખત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની મફતની રાજનીતિ પર ચાબખાં માર્યા હતા. ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતની સમૃદ્ધિને જો કોઈ ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરે તો તેને કોઈ કાળે સાંખી લેવામાં આવશે નહીં અને ગુજરાતના નાગરિકો આવા તત્વોને જવાબ આપવા માટે તત્પર છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે મહોલ્લા ક્લીનિકની વાત કરીને રાજ્યની પ્રજાને ગેર માર્ગે દોરી રહ્યા છે તેઓએ એક વખત ગુજરાતમાં આરોગ્યની સુવિધા પર નજર કરવાની જરૂર છે.
શિક્ષણના મુદ્દે કેજરીવાલ દ્વારા જે બુમરાણ મચાવવામાં આવી રહી છે તે તદ્દન વાહિયાત અને પોકળ છે. આજે રાજ્યના અંતરિયાળ ગામોમાં પણ પ્રાથમિક શાળાઓ થકી ગરીબ – પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ સુવિધાઓમાં રાહત અને મફત મુદ્દે તેઓએ ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓને મફતનું ખાવાની આદત જ નથી. આપ દ્વારા જે મફતની વાત કરવામાં આવી રહી છે તેનાથી રાજ્યની પ્રજાએ સાવચેત રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ વારંવાર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ કરી રહ્યા છે અને ગુજરાતની શાળાઓની સ્થિતિ ચકાસવા માટે મનિષ સિસેદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તાર ભાવનગરની સરકારની શાળાઓની મુલાકાત લઇને આ મુદ્દે રાજકાર શરૂ કર્યું હતું.
આ પ્રકારની લાલચને કારણે ગુજરાતની સમૃદ્ધિને સીધી રીતે અસર થઈ શકે છે. હાલમાં જે શ્રીલંકાની હાલત છે તે આ પ્રકારના નેતાઓને જ આભારી હોવાનું જણાવતાં તેઓએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યની જનતાએ આ પ્રકારની રાજનીતિ સામે સાવચેત રહેવાની જરૂર છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે મહોલ્લા ક્લીનિકની વાત કરીને રાજ્યની પ્રજાને ગેર માર્ગે દોરી રહ્યા છે તેઓએ એક વખત ગુજરાતમાં આરોગ્યની સુવિધા પર નજર કરવાની જરૂર છે.