Surat : સુરતમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ રાખવાના બેનરો લાગતા જ હિંદૂ સંગઠનો ભડક્યા, હોટેલ પર લાગેલા બેનરોની હોળી કરી
સોશિયલ મીડિયાની સાથે સાથે હિન્દૂ સંગઠનોને આ બેનરની માહિતી થતાની સાથે જ તેઓ દ્વારા પણ ઉગ્ર આક્રોશ બતાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા આ રેસ્ટોરન્ટ પર પહોંચીને તાકીદે આ બેનર ઉતારી પાડવાની ચીમકી આપવામાં આવી હતી.
સુરત એ ખાણીપીણી(Food ) માટે જાણીતું છે. અને એના પરથી જ કહેવત પડી છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. વારે તહેવારે, દર સીઝનમાં અહીં અનેક પ્રકારના ફૂડ ફેસ્ટીવલો (Food Festival )રાખવામાં આવતા હોય છે. જેનો સુરતીઓ ભરપેટ આનંદ પણ માણતા હોય છે. તેવામાં સુરતના રિંગરોડ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું બેનર મારવામાં આવતા જ મોટો વિવાદ સર્જાયો હતો.
સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી આ એક રેસ્ટોરન્ટ દ્વારા ગઈકાલ રાતથી જ પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બોર્ડ મારીને શહેરીજનોને પાકિસ્તાની વાનગીઓનો આસ્વાદ માણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના પર આજે સવારથી જ સોશિયલ મીડિયામાં વિરોધનો સુર વ્યક્ત થઇ રહ્યો હતો.
સુરતમાં અઠવાલાઇન્સ ખાતે યોજાઈ રહેલા હુનર હાટ ફેસ્ટિવલમાં જ્યાં ભારતના અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે આ રાજ્યોની સ્પેશ્યલ ખાણીપીણીની વાનગીઓનો સ્વાદ સુરતીઓ માણી શકે તેના માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. તો બીજી તરફ આ રેસ્ટોરન્ટ દ્વારા દેશ વિરોધી પ્રવૃતિઓ કરનાર પાકિસ્તાન દેશના ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરીને વિવાદનો મધપૂડો છંછેડવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયાની સાથે સાથે હિન્દૂ સંગઠનોને આ બેનરની માહિતી થતાની સાથે જ તેઓ દ્વારા પણ ઉગ્ર આક્રોશ બતાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા આ રેસ્ટોરન્ટ પર પહોંચીને તાકીદે આ બેનર ઉતારી પાડવાની ચીમકી આપવામાં આવી હતી. બેનર ઉતારી કાઢ્યા બાદ બજરંગ દળના કાર્યકરો દ્વારા આ બૅનરોને જાહેરમાં જ સળગાવી દેવામાં આવ્યા હતા.
બજરંગદળના કાર્યકર દેવી પ્રસાદ દુબે નું કહેવું છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ પાકિસ્તાનની કોઈ પણ વસ્તુ કે બાબત સુરતમાં ચલાવી લેવામાં આવશે નહીં. અમે આ રેસ્ટોરન્ટનો સખ્ત વિરોધ કરીએ છીએ. અમે તેમને આ પ્રકારના ફૂડ ફેસ્ટિવલ નહીં રાખવા ચીમકી આપી છે. હાલ તો બેનર ઉતારી લેવામાં આવ્યા છે. અને આ ફૂડ ફેસ્ટિવલ પણ રદ્દ કરવા અમે જણાવી દીધું છે. જો હજી પણ આવું કૃત્ય કરશે તો અમે પછી તેમને અમારી રીતે જવાબ આપીશું.
આ પણ વાંચો : Surat : કોરોનાનો ભય ફરી વાલીઓમાં પેંઠો, શહેરમાં કેસ વધવાથી બાળકોને શાળામાં મોકલવાથી ડરી રહ્યા છે વાલી
આ પણ વાંચો : Surat : દક્ષિણ ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથાઓ લોકો સમક્ષ લાવવામાં આવશે, પીએચડીના વિદ્યાર્થીઓ કરશે સંશોધન