Surat : ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ગાઈડલાઈન બહાર પાડવા કરાઈ રજુઆત
સુરત શહેરમાં અનેક ઉત્સવોને પરમિશન મળે એવી સુરતીઓને આશા જાગી છે, એવામાં ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે, જેની ગાઈડલાઈન હજુ સુધી સરકારે બહાર પાડી નથી.
કોરોના (Corona) મહામારીમાં ઘટાડો આવ્યા બાદ હવે જનજીવન ફરી પાટે ચડ્યું છે. કોરોનાની બીજી લહેર (Second Wave) ઓસરતા જ છેલ્લા બે વર્ષથી અટકેલું જનજીવન અનલોક થયું છે. ત્યારે હવે તહેવારો ઉજવવા (Festival Celebration) પણ શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરતમાં (Surat) હવે જ્યારે કોરોનાના કેસો સિંગલ ડિજિટમાં નોંધાવા લાગ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ શૂન્ય થઇ રહ્યો છે. ત્યારે આ નકારાત્મક ઉર્જામાંથી બહાર આવવા માટે તહેવારોની ઉજવણી એક સહારો છે. સુરત શહેરમાં અનેક ઉત્સવોને પરમિશન મળે એવી સુરતીઓને આશા જાગી છે એવામાં શહેરમાં જોરશોરથી ઉજવાતો ઉત્સવ ગણેશોત્સવ (Ganesh Mahotsav) નજીક આવી રહ્યો છે, જેની ગાઈડલાઈન હજુ સુધી સરકારે બહાર પાડી નથી.
મુંબઇમાં ગણેશોત્સવની ગાઈડલાઈન મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તેમાં ઘણાખરા પ્રતિબંધો મુકાતા મંડળો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવી પરિસ્થિતિ સુરત શહેરમાં ન સર્જાય તેથી ઉત્સવ ઉજવવા માટેની ગાઈડલાઈન અગાઉ જ બહાર પાડવામાં આવે તેવી રજુઆત ગણેશ ઉત્સવ સમિતિના આયોજકોએ કલેકટરને આવેદનપત્ર આપીને કરી હતી.
આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે સંપૂર્ણ સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે મંજૂરી આપવામાં આવે. મંડપ અને મૂર્તિનું માપ કેટલું રાખવું તે માટે પણ દિશા નિર્દેશ બહાર પાડવામાં આવે. ગણેશ ઉત્સવ ન ઉજવવાથી કેટલાક લોકોની રોજીરોટી પર મોટો ફટકો પણ પડ્યો છે. જેથી જો ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી મળે તો આવા લોકોને આજીવિકાનું એક સાધન મળે.
ગણેશ ઉત્સવ ઉજવવા અને હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય તે ધ્યાનમાં રાખીને વિસર્જન પ્રક્રિયા માટે ગાઈડલાઈન જલ્દી બહાર પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.