Surat: બાબા રામદેવના નિવેદન બદલ આજે ડોક્ટરોએ ઉજવ્યો બ્લેક ડે, પગલાં ભરવાની કરી માગ
યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. બાબા રામદેવે ડૉક્ટર્સ વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે.
Surat : યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. બાબા રામદેવે ડૉક્ટર્સ (Doctors) વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા પણ બાબા રામદેવને તેમણે કરેલા નિવેદન બદલ લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
આજે દેશભરમાં અને રાજ્યભરમાં રામદેવ બાબા વિરુદ્ધ બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ રેસિડન્ટ ડૉક્ટર્સ અને જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિરોધમાં જોડાયેલા ડૉક્ટરોનું કહેવું હતું કે બાબા રામદેવે એલોપેથી સાથે સંકળાયેલા તબીબોનું અપમાન કર્યું છે. વેકસિનથી લોકોના મોત થયા છે એ ગેરજવાબદારીભર્યું અને વાહિયાત નિવેદન છે. તેમણે આ નિવેદન આપીને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન વિશે જુઠ્ઠાણું અને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.
ડોકટરોએ આજે સુરત સિવિલ કેમ્પસમાં બાબા રામદેવ માફી માંગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેની ધરપકડ થવી જોઈએ તેવી પણ માંગણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. એલોપેથી ડોક્ટરો આયુર્વેદિક ઉપચારની વિરોધમાં નથી. પણ આ પ્રકારનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકારે તેમના વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી.
આજે દેશ સહિત રાજ્યભરમાં જેટલા પણ તબીબો, નર્સિંગ સ્ટાફ કોરોના ડ્યુટીમાં જોડાયેલા છે તેઓએ રામદેવ બાબા વિરુદ્ધ દેખાવો કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ ડીપી બ્લેક રાખીને નારાજગી વ્યક્ત કરી હતી.
આ દરમ્યાન દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં જો સરકાર કોઈ પગલાં નહિ ભરે તો વિરોધ કાર્યક્રમ યથાવત રાખવાની ચીમકી પણ તબીબો દ્વારા ઉચ્ચારવામા આવી છે.