Surat : શહેરીજનોને જલદી મળશે ખાડાયુક્ત રસ્તાઓથી મુક્તિ, બે પાળીમાં રસ્તાનું રીપેરીંગ શરૂ કરાયું
હાલમાં તમામ ઝોનમાં(Zone ) બે પાળીમાં ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે અને આગામી ત્રણ દિવસમાં શહેરમાં તમામ રસ્તાઓ રીપેરીંગ થઇ જશે.
શહેરમાં (Surat )પડેલા ભારે વરસાદને (Rain )કારણે શહેરના તમામ રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બની ગયા છે. સુરતને હવે હળવાશની શૈલીમાં મુન (Moon )સીટી તરીકે પણ સંબોધવામાં આવી રહ્યું છે. અગાઉ શાસકો દ્વારા મોટા ઉપાડે કરાયેલી પત્રકાર પરિષદમાં રસ્તા રીપેરીંગની મોટી મોટી જાહેરાતો માત્ર જાહેરાત જ રહેવા પામી હતી. ત્રણ જ દિવસમાં રસ્તા રીપેરીંગના શાસકોએ વાયદો આપ્યા હતા પરંતુ 15 દિવસે પણ રસ્તાઓ રીપેર થયા ન હતા.
જોકે હવે વરસાદે વિરામ લેતા મનપા કમિશનરે તમામ રસ્તાઓ ઝડપથી રીપેર કરવાની તજવીજ શરુ કરી દીધી છે. મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે હાલમાં તમામ ઝોનમાં બે પાળીમાં ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે અને આગામી ત્રણ દિવસમાં શહેરમાં તમામ રસ્તાઓ રીપેરીંગ થઇ જશે.
શહેર સહીત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના વિરામ વચ્ચે તડકો નીકળતા લોકોને હાશકારો થયો છે. ત્યારે બીજી તરફ સુરત મહાનગર પાલિકા પણ પુરજોશમાં રસ્તા રીપેરીંગ કામગીરીમાં લાગી ગયું છે. મનપા દ્વારા હાલમાં હોટમીક્સ પ્લાન્ટમાં દરરોજ 500 મે.ટન જથ્થો વાપરવામાં આવી રહ્યો છે. તેમજ કોલ્ડ મિક્સના પણ બે મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અને હાલ બે પાળીમાં કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહ્યું છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં તમામ ઝોનમાં રસ્તા રીપેરીંગની કામગીરી વધુ ઝડપથી થઈ રહી છે.
શહેરમાં હવે જંક્શન પર પેવર બ્લોક નખાશે
મનપા કમિશનર બંછાનીધી પાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં જયારે પણ પાણી-ગટર લાઈનના કામો માટે રસ્તાઓનું ખોદાણ કરવામાં આવે છે ત્યારબાદ તે રસ્તાઓની હાલત વધુ બગડે છે. પરંતુ રાંદેર ઝોનમાં જંક્શન પર પેવર બ્લોક નાખવામાં આવ્યા તેવી જ સીસ્ટમથી શહેરના તમામ જંક્શન પર પેવર બ્લોક નાંખવા માટે વિચારણા કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં ટેન્ડર બહાર પાડીશું અને પેવર બ્લોક પધ્ધતિથી કામ કરવામાં આવશે તેમ કહ્યું હતું.
બેરિકેડિંગ હટાવી રસ્તો ખોલી આપવા મેટ્રોનાં અધિકારીઓને સૂચના
છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાકાળના કારણે ગણેશ ભક્તો ધામધૂમથી ગણેશ ચતુર્થી પર્વ ઉજવી શકતા નહતા. પરંતુ આ વર્ષે તમામ છૂટછાટ હોવાના કારણે ગણેશ ભક્તો ધામધૂમથી પર્વ ઉજવવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે બુધવારે મળેલી મેટ્રોની મિટિંગમાં મનપા કમિશનરે મેટ્રોના અધિકારીઓને જણાવ્યું હતું કે ગણેશવિસર્જનના દિવસે તમામ રસ્તાઓ પરના બેરિકેડિંગ હટાવી એક દિવસ માટે રસ્તો ખોલી આપવામાં આવે.
ગણેશ વિસર્જનમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મનપા કમિશનરે આગોતરુ આયોજન કરી લીધુ છે. હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરીને લઈ ઠેકઠેકાણે બેરીકેટિંગ કરી રસ્તા બંધ કરાયા છે. જેને પગલે ગણેશ વિસર્જન દરમિયાન ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં સાંકડા રસ્તા હોય મેટ્રોની કામગીરીમાં શકચ હોય તો ગણેશોત્સવ પૂરતા આ રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવશે.