Surat : આપના કોર્પોરેટરે મંત્રીઓના ગયા બાદ ખોલી પ્રવેશોત્સવની પોલ, જાણો શું કર્યા આક્ષેપ ?
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી અને અન્ય નેતાઓની વિદાય બાદ વિદ્યાર્થીઓના હાલ કેવા થયા તેનો એક વિડીયો આપના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ વાયરલ કર્યો છે.
હાલ રાજ્યભરમાં સરકારી શાળાઓ (Schools) માં વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે શિક્ષણ સમિતિમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના એકમાત્ર વિપક્ષી સભ્ય દ્વારા સુરત (Surat) ની સરકારી શાળાઓમાં ચાલતી પોલંપોલને ઉઘાડી પાડવામાં આવી રહી છે. આજે શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 188 મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળામાં મંત્રી વિનોદભાઈ મોરડીયા હાજર રહેવાના હતા. ત્યારે શાળા કેમ્પસને ચોખ્ખો ચણાક કરી દેવામાં આવ્યો હતો. પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી અને અન્ય નેતાઓની વિદાય બાદ વિદ્યાર્થીઓના હાલ કેવા થયા તેનો એક વિડીયો આપના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ વાયરલ કર્યો છે.
તેઓએ વાયરલ કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મંત્રીના ગયા બાદ સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળા કેમ્પસમાં ખુલ્લામાં કે જ્યાં જંતુનાશક ડીડીટી પાઉડર નો છટકાવ કરેલો છે તે જગ્યાની બાજુમાં જ બેસીને નાસ્તો ખાવા મજબુર બન્યા છે. જે માં તેમના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ પહેલા પણ રાકેશ હિરપરા દ્વારા શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અસંખ્ય એવી શાળાઓની યાદી તેઓએ આપી હતી જેમાં છેલ્લા બે વર્ષથી ફક્ત એક જ કાયમી શિક્ષક સાથે કામ ચલાવવામાં આવી રહ્યું છે.
તેઓએ વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ દરમ્યાન આપવામાં આવેલી કીટ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાની પ્રવેશોત્સવ કીટ આપવામાં આવી છે. અને ફોટો સેશન માટે ફક્ત 10-10 કિટો જ આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ આ કિટથી વંચિત રહી ગયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓલપાડમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પૂર્વ મંત્રી ગણપત વસાવાએ ફરી એકવાર કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો યથાવત રાખ્યા છે. આ વખતે ગણપત વસાવાએ ભાજપ-કોંગ્રેસના શાસન ની સરખામણી કરવા પોતાનું જ ઉદાહરણ આપ્યું છે અને કોંગ્રેસ ને આડે હાથ લીધી છે. જ્યારે ભાજપનના શાશનની સિદ્ધીઓ ગણાવતાં કહ્યું હતું કે આજે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ, આંગણવાડીથી લઈને સાયન્સ કોલેજો સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલું જ નહીં માંગરોળ તાલુકામાં પણ છ કોલેજ સરકારે આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું.