સુરતના (Surat) બારડોલી તાલુકામાં આજે વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બારડોલી (Bardoli) નગરમાં આવેલા સુરતી જકાતનાકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વીજળી બાબતે ગુજરાત સરકાર પર આક્ષેપ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના બારડોલી લોકસભાના પ્રમુખ રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત વીજળી (Electricity) પેદા કરતું રાજ્ય છે, છતાં અહી વીજળીના તોતિંગ ભાવોને કારણે સામાન્ય જનતાને હેરાન થવું પડે છે. જ્યારે બીજા રાજ્યોમાં વીજળી માટે અન્ય રાજ્યો પર નિર્ભર રહેવુ પડતું હોવા છતાં ત્યાં વીજળીના દરો ખૂબ સસ્તા છે.
જેથી આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે બારડોલી નગરના સુરતી જકાતનાકા ખાતે આ વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપના કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ગુજરાત સરકાર વિરુદ્ધ આ મુદ્દે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ આપના વિરોધ દરમ્યાન પોલીસ ત્યાં આવી પહોંચી હતી. અને વિરોધ કરતા કાર્યકરોને અટકાવ્યા હતા. છતાં આપના કાર્યકરોએ વિરોધ યથાવત રાખતા પોલીસ દ્વારા 25 કરતા વધુ કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આપના આગેવાનોનું કહેવું હતું કે, સરકારી વીજ ઉત્પાદન કરતી કંપનીઓને બેઠી કરવાને બદલે ખાનગી કંપનીઓ અને સહકાર આપીને લોકો પાસેથી મોંઘા વીજ દરના નામે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. લોકશાહી ઢબે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. છતાં પણ આ સરકાર પ્રજાના હિત માટે શરૂ કરેલા આંદોલનને પણ ડામી દેવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં લોકો માટે અવાજ ઉઠાવવો પણ મુશ્કેલ છે. કારણ કે, આવું કરતા તેઓ પોલીસને આગળ કરીને કાર્યકરોને ઉઠાવી લે છે અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વધુમાં તેઓએ એ પણ ઉમેર્યું હતું કે વીજળીના મુદ્દે તેઓની સરકાર વિરૂધ્ધ લડત આગળના દિવસોમાં પણ યથાવત રહેશે.
Published On - 2:36 pm, Tue, 28 June 22