ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના આતંક વિશે તો અવારનવાર સમાચાર સામે આવતા જ હોય છે. જો કે સુરતમાં (Surat) રખડતા શ્વાનનો (Street Dogs) આતંક સામે આવ્યો છે. સુરતમાં ભટાર વિસ્તારમાં ત્રણથી ચાર શ્વાને 15તી 20 જેટલા લોકો પર હુમલો કર્યો છે. આ શ્વાનોએ અનેક લોકોને બચકા ભરીને તેમને ઇજાગ્રસ્ત કર્યા છે. ત્યારે રખડતા શ્વાનના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે રખડતા શ્વાન ફરી કોઇને ઇજા ન પહોંચાડે તે માટે તેમની સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઇએ.
સુરત શહેરના ભટાર વિસ્તારમાં 2 જુલાઈએ શ્વાનનો આતંક સામે આવ્યો હતો. ભટાર વિસ્તારની શુભ મંગળ સોસાયટીમાં શ્વાનને 20 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે, 3થી 4 જેટલા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ શ્વાનોએ રસ્તા પર અવર-જવર કરતા લોકો પર હુમલો કરી દીધો હતો. ક્રૂર બનેલા શ્વાનોએ અનેક લોકોને બચકા ભરી દીધા હતા. શ્વાનના હુમલાના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સ્થાનિકોનો દાવો છે કે, અવારનવાર શ્વાનના હુમલાની આવી ઘટના બનતી રહે છે. આ મામલે અનેકવાર તંત્રને આ શ્વાન સામે કાર્યવાહી કરવા રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. જેના કારણે લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ડરનો સામનો કરવો પડી રહ્યો છે.
તો બીજી તરફ આ મામલે અધિકારીએ દાવો કર્યો છે કે, ફરિયાદ મળતા જ તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. શ્વાનોનો સર્વે કરીને તેમને પકડવાની કાર્યવાહી કોર્પોરેશને શરૂ કરી દીધી હોવાનો દાવો પણ કર્યો હતો. તો બીજી તરફ વિપક્ષના નેતાએ તંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે, વિપક્ષ પણ આ મામલો ઉઠાવી ચૂક્યું છે. પરંતુ કોર્પોરેશન કોઇ નક્કર પગલાં નથી લેતું.