સુરતના ઉધના રોડ નંબર 9 પર થયેલ ફાયરિંગની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ભંગારના વેપારી પર બાઈક પર બે ઈસમો આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. તેને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફિલ્મ સ્ટાઈલમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં આરોપી પકડાઈ જતા એડવોકેટ પર ફાયરિંગ કરવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે.
સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ફાયરિંગની ઘટના બની છે. ભંગારના વેપારી પર બે લોકો બાઈક પર આવી ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. જો કે, સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી જાવીદ સલીમ શાહ નામના વ્યક્તિ પર બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.જો કે સદનસીબે આ ઘટનામાં ભંગારના વેપારીનો બચાવ થયો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારી દોડતા થઈ ગયા હતા. અને ફાયરિંગ કરનારને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગી હતી. આરોપીઓને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ના પી.આઈ જે એન ઝાલા અને પી એસ આઈ ડી એમ રાઠોડ સહિતની ટીમના માણસોને બાતમી મળી હતી કે ઉધનામાં વેપારી પર ફાયરિંગ કરનાર આરોપી સુરતના ભીમરાડ ચેકપોસ્ટ પાસે ઉભેલા છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરીને ફાયરિંગ કરનાર સંજુ તિવારી અને કાયદાના સંઘર્ષમાં આવેલ જુવેનાઇલ બાળકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે ફાયરિંગ કરનાર આરોપીને પકડવા ભીમરાડ ચેકપોસ્ટ પર પહોંચી હતી ત્યારે તેમને પકડવા ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મોમાં આરોપીઓને પકડવામાં આવે છે તે સ્ટાઇલમાં બંને આરોપીઓ પકડાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પી.આઈ લલિત વાગડીયા એ જણાવ્યું હતું કે પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી ત્યારે ફાયરિંગ કરનાર બંને ઇસમોને જાણ થઈ હતી કે પોલીસ તેમને પકડવા આવી છે. જેને લઇ પોલીસથી બચવા તેઓ બાઈક ઉપર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ પોલીસના શકંજામા ઝડપાઈ જવાનું જણાતા પોતાની બાઈક પોલીસની કાર સાથે ધડાકાભેર ઠોકી દીધી હતી.
આ આરોપીઓએ પોલીસની ગાડી સાથે બાઈક એટલી જોરમાં ઠોકી હતી કે જેને લઇ પોલીસની ગાડીની અંદર એરબેગ પણ ખુલી ગઈ હતી. એટલું જ નહીં પોલીસની ગાડીની આગળ બોનેટ પણ તૂટી ગયું હતું. પોલીસની કાર સાથે અકસ્માત થતાં ભાગી રહેલા બંને આરોપી પણ રસ્તા પર પટકાતા નાની મોટી ઇજાઓ થઈ હતી. આરોપીઓને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચતા તે ભાગી શક્યા ન હતા. જેને આધારે પોલીસે બંને જણાની ધરપકડ કરી લીધી હતી. પોલીસને તેમની પાસેથી એક પિસ્તોલ અને સાત જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ લલિત વાગડીયા એ વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પકડાયેલ સંજય ઉર્ફે સંજુ તિવારી અને સગીરને સુરતના પાંડેસરામાં રહેતો ભાવેશ ઉર્ફે લાલો રામુભાઇ મેર નામના યુવકે પિસ્તોલ અને કાર્ટેજ આપી હતી. ભાવેશની નવસારીમાં રહેતા એક એડવોકેટ સાથે છેલ્લા ઘણા સમયથી વેરઝેર અને દુશ્મની હતી. જેને લઇ તેની હત્યા કરવા માટે ભાવેશે બંને યુવકોને બોલાવી હથિયાર આપ્યું હતું અને નવસારીના એડવોકેટની હત્યા કરવાનો પ્લાન બનાવી સોપારી આપી હતી. આ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે નવસારીના એડવોકેટની હત્યાનો પ્લાન સફળ થાય તે પૂર્વે હત્યા કરવા જનાર બંને પોતાની સાથે ચાલી રહેલ દુશ્મનની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું હતું.
આ અંગે પીઆઇ લલિત વાગડિયા જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓએ નવસારીના એડવોકેટનું મર્ડર કરીએ તે પૂર્વે પોતાની દુશ્મની કાઢી લઈએ તેઓ નક્કી કર્યું. આ પકડાયેલ બંને આરોપીની આબિદ શાહ સાથે દુશ્મની ચાલી રહી છે. જેને લઇ ગત રોજ ઉધના રોડ નંબર 9 ઉપર આવેલ ભંગારના વેપાર કરતાં આબિદના ભાઈ જાવેદ સલીમ શાહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક ઉપર ભંગારની દુકાન બહાર આવી બંને ઈસમોએ જાવેદ શાહ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.જોકે સદનસીબે ગોળી વેપારીને ન વાગતા જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો : Gujarati Video : જંત્રીના દર વધારવા મુદ્દે રાજકોટ બિલ્ડર એસોસિએશનનો વિરોધ, અમલ કરતા પહેલા એક મહિનાનો સમય આપવા માગ