Surat : ગુરુપુષ્ય નક્ષત્ર પર થઇ જવેલર્સને ચાંદી, હવે ધનતેરસ પર નજર
ગુરુપુષ્ય નક્ષત્ર પર જે રીતે બજાર ઉંચકાયું છે એ જોતા હવે પછી ધનતેરસના પર્વે પણ સુરતમાં સોના ચાંદીના બજારમાં ખાસ્સી ઘરાકી જોવા મળશે.
લોકો ભલે મંદીની વાતો કરતાં હોય સુરતમાં (Surat )ગુરૂપુષ્ય નક્ષત્રમાં સુરતીઓએ સોના ચાંદીની ધૂમ ખરીદી કરી છે. જવેલર્સનું માનીએ તો ગુરૂપુષ્યનાં એક જ દિવસમાં 70 કિલો સોનું (Gold ) વેચાયાનો અંદાજ છે. તા.18મી ઓક્ટોબરને મંગળવારે ગુરુપુષ્ય નક્ષત્રના યોગમાં સુરતીઓએ આખો દિવસ દરમિયાન અધધ સોનું અને અન્ય જવેલરી જેમાં જુદા જુદા આર્ટિકલ્સ, દાગીના, સ્વરૂપે ખરીદ્યું હોવાનો અંદાજે સેવાય રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે 17થી 2 ટકા સોનું વધુ વેચાયું હોવાનું પણ જ્વેલર્સ આગેવાનોએ જણાવ્યું હતું.
સુરતમાં અધધ સોનાનું વેચાણ
ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સુરત શહેરમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દિવસે રીટેલ શોરૂમો આજે વહેલી સવારે આઠ વાગ્યાથી ગ્રાહકો માટે શરૂ થઇ ગયા હતા. જવેલર્સના કહેવા પ્રમાણે સમગ્ર દિવસ દરમિયાન કેટલું સોનું ચાંદી વેચાયું તેનો ચોક્કસ આંકડો તો કહેવો મુશ્કેલ છે પરંતુ, એક અંદાજ એ માંડી શકાય કે એકલા સુરત શહેરમાં જ 70 કિલો એટલેકે અંદાજે 6 હજારથી વધુ તોલા સોનું વેચાયું હોઇ શકે. સરેરાશ રૂ.50 હજારનો ભાવ ગણીએ તો પણ ત્રીસેક કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગુરુપુષ્ય નક્ષત્રના યોગમાં વેચાયું હોવાનો અંદાજ છે.
હવે નજર ધનતેરસ પર
ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસીએશનના એડવાઇઝરી બોર્ડના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે સુરતના લોકો દિવાળીના તહેવારો પહેલા આજે સારામાં સારા ઘરેણાંની ખરીદી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ગુરુપુષ્ય નક્ષત્રમાં પ્રી ઓર્ડરથી ગ્રાહકોએ જરૂરીયાત મુજબ વીંટી, બેંગલ વગેરે ખરીદ્યા છે. ગુરુપુષ્ય નક્ષત્ર પર જે રીતે બજાર ઉંચકાયું છે એ જોતા હવે પછી ધનતેરસના પર્વે પણ સુરતમાં સોના ચાંદીના બજારમાં ખાસ્સી ઘરાકી જોવા મળશે. આમ હવે જવેલર્સની નજર ધનતેરસ પર છે. કોરોનાના બે વર્ષ પછી જયારે બધા તહેવારો ધૂમધામથી ઉજવાઈ રહ્યા છે. તેને જોતા આ દિવાળી પણ જવેલર્સ માટે ખુબ સારી રહે તેવા સંકેતો છે.