Padma Shri 2026 : રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના ચાર મહાનુભાવોને પદ્મશ્રીથી કરાયા સન્માનિત, જુઓ Video

રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુ દ્વારા 2026ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાતના ચાર મહાનુભાવો - હાજી કાસમ રમકડું, નીલેશ માંડલેવાલા, ધાર્મિકલાલ પંજિયાર અને રતિલાલ બોરીસાગરને પદ્મશ્રીથી સન્માનિત કરીને રાજ્યનું ગૌરવ વધારવામાં આવ્યું.

Padma Shri 2026 : રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના ચાર મહાનુભાવોને પદ્મશ્રીથી કરાયા સન્માનિત, જુઓ Video
| Updated on: May 26, 2026 | 9:53 AM

રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુના હસ્તે વર્ષ 2026ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા. કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી, જેમાંથી પ્રથમ તબક્કામાં 66 મહાનુભાવોને સન્માનિત કરાયા. આ ઐતિહાસિક ક્ષણે ગુજરાતના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના અસાધારણ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.

ગુજરાતના પ્રસિદ્ધ ઢોલ વાદક હાજી કાસમ રમકડુંને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. માત્ર નવ વર્ષની ઉંમરે ઢોલક પકડવાની શરૂઆત કરનારા હાજી કાસમે સંગીતની દુનિયામાં, ખાસ કરીને ડાયરા અને લોક સંગીતમાં, ઢોલકથી રંગત જમાવીને મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે અનેક કાર્યક્રમોમાં પોતાની કળાના કામણ પાથર્યા છે અને ગાયોની સેવા માટે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેમને આ સન્માન મળતા અત્યંત ખુશી વ્યક્ત કરી હતી.

સુરતના નીલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્યકર તરીકેના તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. નીલેશ માંડલેવાલા ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે. વર્ષ 2006માં તેમણે સુરતથી કિડનીદાનના માધ્યમથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં કિડનીદાનથી શરૂ થયેલું આ અભિયાન આજે ખૂબ જ વિસ્તૃત બન્યું છે. તેમણે “ડોનેટ લાઈફ” સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1300થી વધુ અંગો તેમજ ટિશ્યુઓનું સફળતાપૂર્વક દાન કરાવી અનેક દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

પ્રેમાનંદની વિશેષ પરંપરાને જીવંત રાખવાનો પુરુષાર્થ

ગુજરાતના ધાર્મિકલાલ ચુનીલાલ પંજિયાને આખ્યાન અને માણભટ્ટની કળાના પ્રચાર-પ્રસાર માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમણે 3000થી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. દેશ અને વિદેશમાં, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધીના સ્થળોનો સમાવેશ થાય છે, તેમણે આ કળાનો પ્રચાર કર્યો છે. તેમને પ્રેમાનંદના લગભગ 30થી 40 આખ્યાનો કંઠસ્થ છે અને પ્રેમાનંદની વિશેષ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો છે.

અગ્રણી ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને કલા અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના અદ્વિતીય પ્રદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાની સાહિત્યિક કારકિર્દીનો આરંભ ટૂંકી વાર્તાઓના લેખનથી કર્યો હતો, પરંતુ તેમની નૈસર્ગિક વિનોદવૃત્તિ અને હાસ્યની સમજ તેમને હાસ્ય લેખનના ક્ષેત્રમાં ખેંચી ગઈ, જ્યાં તેમણે અનોખી સફળતા પ્રાપ્ત કરી. તેમના યોગદાનથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું છે.

આ ચાર મહાનુભાવોને મળેલું પદ્મશ્રી સન્માન એ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક, સામાજિક અને સાહિત્યિક વિરાસતનું પણ પ્રતીક છે.

ઇબોલા વાયરસને લઈ ગુજરાત સરકાર એલર્ટ, જાણો વિગત 

Follow Us
Loading...
Unable to load recommendations.