Surat : કાયમી વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓને સ્થાનિક મતદારયાદીમાં નામ ઉમેરવા સમજાવવામાં આવશે : કલેકટર
સુરત શહેરમાં વરાછા, કતારગામ, પુણા, કામરેજ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો સુરત રોજીરોટી માટે આવ્યા હતા અને અહીં સ્થાયી થયા છે.
સુરત (Surat) શહેરમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર સહિતના સુરતમાં કાયમી વસવાટ કરતા અને વતનમાં મતદાર કાર્ડ (Voting Card) ધરાવતા હોય તેવા મતદારોને સુરતમાં જ મતદાર નોંધણી કરાવવાની સમજાવટ કરવાનો પ્રયાસ કરવાની સાથે આગામી 1 થી 28 નવેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કરવામાં આવશે. સુરતમાં હાલના તબક્કે 45,52,296 મતદારો નોંધાયા છે.
મતદાર યાદીમાં નામ નોધણી, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત બાબતો માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ જણાવ્યું હતું કે સુરત અર્બન શહેર હોવાથી મહત્તમ લોકો ઓનલાઇન સેવાનો આગ્રહ રાખે તે જરૂરી છે. જેથી વર્તમાન કોરોનાની સ્થિતિમાં લોકોની ભીડ એકત્ર થતી અટકશે.
વધુમાં જિલ્લા અધિક ચૂંટણી અધિકારીને સૂચન કરતાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં ખાસ કરીને વરાછા, કતારગામ, પુણા, કામરેજ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો સુરત રોજીરોટી માટે આવ્યા હતા અને અહીં સ્થાયી થયા છે. આવા લોકો આધારકાર્ડ સહિતના પુરાવા સુરતના રાખે છે જ્યારે તેમના મતદારકાર્ડ વતન કે ગામના હોય છે. આવા મતદારો કે જે સુરતમાં કાયમી વસવાટ કરી રહ્યા છે તેમજ તેમને સુરતમાં જ મતદાર યાદીમાં નોંધણી કરવા માટે સમજાવવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે લોકો મહત્તમ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં જોડાય તે માટે સોશિયલ મીડિયામાં મહત્તમ ફલોઅર્સ ધરાવતા લોકોનો ઉપયોગ કરીને મહત્તમ કવરેજ કરાવવાની અપીલ કરવામાં આવશે. આ ઉપરાંત મતદારો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે આઈ.ટી.આઈ. કોલેજ ખાતે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવશે અને અન્ય કોલેજો તેમજ સ્કૂલોમાં પણ યુવા મતદારોની નોંધણી માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.
આ કામગીરી માટે સુરત જિલ્લાની 16 વિધાનસભા મતદાર વિભાગમાં 16 મતદાર રજીસ્ટર ઓફિસર, 93આસિસ્ટન્ટ રજીસ્ટ્રેશન ઓફિસર, 4546 બુથ લેવલ ઓફિસર અને 420 બીએલઓ કાર્યરત રહેશે. આ ઉપરાંત તમામ કોલેજોમાં યુવા મતદારોની સાંજના 5 વાગ્યા દરમિયાન નજીકના મતદાન મથક બીએલઓ હાજર રહીને ફોર્મ સ્વીકારાશે.
મતદારો www.nvsp.in અથવા voterportal.eci.gov.in અથવા www.ceo.gujarat.gov.in મતદાર યાદીમાં નામ છે કે નહીં તેની ચકાસણી કરવા અને નામ દાખલ કમી અને સુધારાની નવી અરજી કરી શકશે. વોટર હેલ્પલાઇન એપ પરથી પણ તેઓ માહિતી મેળવી શકશે