દિવાળીના (Diwali 2021) તહેવાર દરમિયાન લોકો પોતાના ઘરઆંગણે રંગોળીની ડિઝાઇન (Rangoli Design) બનાવતા હોય છે. તેમાં પણ ઘરની ગૃહિણીઓ પોતાના ઘર આંગણને રંગોળીથી સજાવવા આતુર રહેતી હોય છે. પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષોથી હવે લોકો રંગોળી આર્ટિસ્ટને બોલાવીને પોતાના ઘરે રંગોળી બનાવડાવતા હોય છે. જેના માટે પાંચસો રૂપિયાથી લઇને દસ હજાર સુધીની રંગોળી લોકો બનાવડાવે છે.
દિવાળી અને નવા વર્ષને આવકારવા લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના ઘર આંગણાને રંગોળીથી સજાવતા હોય છે. ગૃહિણીઓ મોડી રાત સુધી પોતાના ઘર આંગણે રંગોળીઓ બનાવતી હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે. ભાગદોડવાળી જિંદગી અને કઈંક નવીનતા માટે લોકો રંગોળી આર્ટિસ્ટ પાસે રંગોળી બનાવડાવતા થયા છે અને તેના માટે લોકો 10,000 સુધી ખર્ચતા હોય છે.
રંગોળી આર્ટિસ્ટ પરિમલભાઈ ગજ્જરનું કહેવું છે કે, આજે લોકો પાસે સમય નથી અને બીજા કરતા કઈ અલગ જોઈએ છે. દેખાદેખી પણ ઘણા લોકો કરતા હોય છે. તેથી હવે તેઓ રંગોળી બનાવડાવતા હોય છે. મારી પાસે દિવાળી દરમિયાન ઘણા ઓર્ડર આવતા હોય છે. જેમાં સ્કેચ, ફ્રી હેન્ડ ડિઝાઇન અને અન્ય ડિઝાઇનની રંગોળી લોકો બનાવડાવે છે. રંગોળીના ભાવ સ્કેવર મીટર પર હોય છે. ઘણા લોકો 9 હજાર થી 10,000 રૂપિયા સુધીની રંગોળી મારી પાસે બનાવડાવે છે.
અન્ય એક ટેન્ગોલી આર્ટિસ્ટ અખ્તરભાઈ કહે છે કે લોકો કરોઠીના રંગોની સાથે સાથે હવે કેનવાસ પર પેઇન્ટ કરેલી રંગોળી પણ બનાવડાવે છે. જેથી દિવાળી કે નવા વર્ષમાં તેને કેનવાસ સાથે જ ઘર આંગણે મૂકી શકાય અને તે પછી તહેવાર પૂરો થયા બાદ તેને ઘરના ડ્રોઈંગ રૂમમાં વોલ આર્ટ તરીકે મૂકી શકાય. કોરોનાના કારણે ગયા વર્ષે અમારી પાસે કામ નહોતું. પણ આ વર્ષે અમને એડવાન્સમાં ઓર્ડર મળ્યા છે.
જલ્પા ઠક્કર એ કહ્યું કે પહેલા હું જાતે રંગોળી બનાવતી હતી, પરંતુ હવે નોકરી અને ઘરમાંથી જ થાકી જવાય છે અને સમય પણ રહેતો નથી. તેથી મેં પણ છેલ્લા બે વર્ષથી રંગોળી આર્ટિસ્ટ પાસે જ રંગોળી બનાવડાવું છું. દિવાળી રંગોળી વિના અધૂરી લાગે છે. એટલે રંગોળી તો બનાવડાવવી જ પડે છે.
આ પણ વાંચો : Surat : દિવાળીમાં દેવાળાની તૈયારી : ભાજપ અને આપના કોર્પોરેટરોને લેપટોપ આપવાની દરખાસ્ત
આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ