Sabarkantha: 50000 હેક્ટર વિસ્તાર ખેતી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત, સૌથી વધુ હિંમતનગરમાં નુક્શાનનો અંદાજ
સાબરકાંઠા જિલ્લામાં ખેતીમાં કમોસમી વરસાદને લઈ નુક્શાનીનો અંદાજ મેળવવવા માટે સર્વે શરુ કરવામાં આવ્યો છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં નુક્શાનના આંકડા સામે આવી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ 50 હેક્ટર વિસ્તારમાં વરસાદને લઈ અસર પહોંચી હોવાનુ ખેતિવાડી વિભાગે પ્રાથમિક રીતે દર્શાવ્યુ છે. નુક્શાનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં આ માટે સર્વેની કામગીરી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારને પણ પ્રાથમિક રીતે નુક્શાનની સંભાવનાઓને લઈ રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે.
શુક્વાર થી કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો. શનિવારે પણ આવો જ માહોલ રહેવા પામ્યો હતો. જે દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને હિંમતનગર વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં 50 હજાર હેક્ટર ખેતી અસરગ્રસ્ત
પ્રાથમિક અંદાજ જિલ્લામાં નુક્શાનનો મેળવવામાં આવ્યો હતો. જે મુજબ રવિવાર સુધીમાં કમોસમી વરસાદને લઈ 50 હજાર હેક્ટર વિસ્તારમાં ખેતી અસરગ્રસ્ત થઈ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. રવિવારે પણ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈ નુક્શાનીનો આંકડો વધી જઈ શકે છે. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં નુક્શાની અંગે અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. જે મુજબ પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને જાણકારી આપવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ 50 હજાર હેક્ટર વિસ્તારમાં કમોસમી વરસાદથી અસર પહોંચી હોવાનો અંદાજ છે.
જેમાં સૌથી વધારે હિંમતનગર વિસ્તાર પ્રભાવિત થયો છે. ખેતીવાડી વિભાગ દ્વારા અંદાજવામાં આવેલા પ્રાથમિક અહેવાલના આંકડાઓનુસાર હિંમતનગરમાં 20,450 હેક્ટર ખેતીને અસર પહોંચી છે. ઈડરમાં 8 હજાર 300 અને વડાલીમાં 8 હજાર 200 હેક્ટર વિસ્તાર જમીનમાં અસર પહોંચી છે. આ ઉપરાંત પ્રાતિજ અને તલોદ વિસ્તારમાં પાંચ હજાર હેક્ટર વિસ્તારમાં નુક્શાન પહોંચ્યુ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. પોશીના તાલુકામાં 1800 અને વડાલી તાલુકામાં 600 હેક્ટર ખેતીમાં નુક્શાન પહોંચ્યુ છે.
91 ટીમો દ્વારા સર્વે
ખેતીવાડી વિભાગના સૂત્રો મુજબ હાલમાં જિલ્લામાં તમામ અસરગ્રસ્ત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. જિલ્લામાં તમામ વિસ્તારોમાં જ્યાં કમોસમી વરસાદથી નુક્શાન પહોંચ્યુ છે. એ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે 91 ટીમો ફિલ્ડમાં સર્વે કરી રહી છે. જે સર્વેની વિગતો આવ્યા બાદ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.