Sabarkantha: સીઆર પાટીલે ધારાસભ્યોના હોશ કોશ ઉડાવી દીધા ! કહ્યુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષે (BJP President) પહેલા તો એમ પણ કહી દીધુ કે, કાર્યકરો ટિકિટ હક થી માંગો, કોઇ ધારાસભ્યો (MLA) કાયમી નથી અને બાદમાં કહ્યુ સોથી વધુ નવા ચહેરા સામે આવશે
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) પેઇઝ પ્રમુખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા તેમણે હિંમતનગર શહેરમાં રોડ શો યોજ્યો હતો. ત્યાર બાદ ટાઉન હોલમાં પેઇઝ પ્રમુખ સંવાદ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેઓએ કાર્યકર્તાઓને ટીકીટ માંગવા પર ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, વર્તમાન ધારાસભ્યો (MLA) કાયમી નથી. થોડી વાર બાદ આગળ કહ્યુ હતુ કે, 100 થી વધુ નવા ચહેરાઓ ભાજપની ઉમેદવાર યાદીમાં જોવા મળશે.
સાબરકાંઠા જીલ્લામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે (BJP Gujarat President)કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજ્યો હતો. અધ્યક્ષ પાટીલે પેઇઝ પ્રમુખોને કાર્ડ વિતરણ અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં પહોંચતા પહેલા હિંમતનગર શહેરના મુખ્ય માર્ગો પર રોડ શો યોજ્યો હતો. સંવાદ દરમ્યાન પાટીલે કાર્યકર્તાઓને જૂસ્સો પુરવાનુ કામ કરવા સ્વરુપ સંબોધન કર્યુ હતુ. પેઇઝ પ્રમુખની મહત્વતા સમજાવી હતી. આ માટે ગાંધીનગરના ઇલેકશનને તેઓએ ઉદાહરણ તરીકે સમજાવ્યુ હતુ. પાટીલે કહ્યુ હતુ કે, હું પહેલા પોલીસમાં હતો. બાદમાં 34 વર્ષની ઉંમરે પોલીસની નોકરી છોડીને પાર્ટીમાં કાર્યકર્તા બન્યો હતો. આ પાર્ટીએ મને કાર્યકર્તાથી પાર્ટીની મુખ્ય ખુરશી સુધી પહોંચાડી દીધો છે.
શરુઆતમાં તો લોકોએ એમ કહેતા હતા કે, શુ કરશે. બહુ લાંબુ ચાલશે નહી. આપડા વાળા પણ આવુ કહેતા. પરંતુ પહેલા જ 8 વિધાનસભાની ચુંટણી આવેલી અને તે તમામ બેઠકો જીતવાનુ સૌને કહ્યુ હતુ. અને એ બેઠકો કાર્યકર્તાઓ જીતાડી દીધી હતી.
કોઇ ધારાસભ્ય કાયમી નથી, કાર્યકરો ટિકિટ માંગો
પાટીલે ઉમેદવારોને લઇને વાત કહેતા જ સૌ વર્તમાન ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિતના આગેવાનો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે તેઓએ વિધાનસભાને લઇ કહી દીધુ હતુ કે, કાર્યકર્તાએ ટીકીટ માંગવી જ જોઇએ. આ માટે સતત માંગતા પણ રહેવુ જોઇએ. માટે આવનારી ચૂંટણી માટે ટિકિટ માંગજો. આમ આવનારી વિધાનસભાની ચુંટણી પહેલા જ ટીકીટ ના દાવેદારોને પાટીલે ગલગલીયા કરાવી દીધા હતા. તો વળી વર્તમાન ધારાસભ્યોને ચિંતામાં લાવી દીધા હતા. તેઓએ કહ્યુ કે, કોઇ કાયમી નથી. સ્થાનિક ધારાસભ્યનુ ઉદાહરણ આપતા કહી દીધુ કે એ પણ કાયમી નથી. આમ કાર્યકરોએ ટિકિટ માંગવી જોઇએ. મારા નવસારી માં પણ સાંસદની ટિકિટ કાયમી નથી.
100 થી વધુ નવા ચહેરા આવશે
પ્રમુખ પાટીલે આવનારી વિધાનસભાની ચુંટણીઓ (Assembly Election 2022) ને લઇને કહ્યુ હતુ કે, ભાજપની ઉમેદવારીની યાદીમાં 100 કરતા વધુ નવા ચહેરાઓ જોવા મળશે. સ્ટેજ પર થી સંવાદ દરમ્યાન પહેલા હળવો ઝટકો અને બાદમાં હાઇવોલ્ટેજ કરંટ આપતો ઝટકો નેતાઓને આપી દીધો હતો. પાટીલે ફરી થી ઉમેદવારોને લઇ બોલતા 100 નવા ચહેરાની વાત કરી હતી. જેનાથી હાજર ધારાસભ્યો સહિત સૌ કોઇ ચકિત થઇ ગયા હતા. જોકે પાટીલે કોઇને બંધ બેસતી પાઘડી પહેરી ચિંતા નહી કરવા જણાવ્યુ હતુ.
આગળ વાત કરતા કહ્યુ હતુ કે, જોકે ટિકિટ આપવાની વાત ઉપરથી થાય છે. સિધી જ સાહેબ પાસેથી. એટલે ત્યાં જ જવુ સાહેબ પાસે. પરંતુ સાહેબ પાંચ થી છ જેટલા જુદા જુદા સર્વે કરીને બાદમાં ટિકિટ આપતા હોય છે. જેના થી અનેક નવા ચહેરાઓ જોવા મળતા હોય છે. જે જીતી જતા હોય છે. જે પ્રજામા વિશ્વાસ ધરાવતા હશે તે ઉમેદાવાર બનશે.
આ રીતે જોવા મળશે નવા ચહેરા
સંવાદ દરમ્યાન નવા ચહેરાઓના ગણિતને પણ સમજાવ્યુ હતુ. તેમાં તેઓએ કહ્યુ હતુ કે, હાલમાં જે બેઠકો પર ભાજપ હારી ચુક્યુ છે. તે પૈકીની બેઠકોમાં મોટે ભાગે નવા ઉમેદવારો આવી શકે છે. એટલે કે હાર્યા ઉમેદવારો પાછા કાર્યકર બની જશે. તો વર્તમાન ધારાસભ્યોમાંથી પણ 30-40 ને પડતા મુકવામાં આવશે તેવો પણ સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. આમ સરવાળે 100 થી વધુ નવા ચહેરા ધરાવતી ભાજપની 182 બેઠકો માટેની ઉમેદવાર યાદી સામે આવી શકે છે. આ યાદીમાં સમાવવા અને જળવાઇ રહેવા માટે પ્રજાનો વિશ્વાસ જીતવાના કામ કરવા કહ્યુ હતુ.